પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એમ વિચારી અંતરે શોધે સદ્ગુરૂયોગ,
કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. ૩૭

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થનિવાસ. ૩૮

દશા ન એવી જ્યાંસુધી, જીવ લહે નહિ જોગ્ય,
મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ. ૩૯

આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુહાય,
તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦

જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧

ઉપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય,
ગુરૂ શિષ્ય સંવાદથી, ભાખું ષટ્પદ આંહિ. ૪૨

'આત્મા છે' 'તે નિત્ય છે', 'છે કર્ત્તા નિજકર્મ',
'છે ભોક્તા' 'વળિ મોક્ષ છે', 'મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩

ષટ્ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ,
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનિયે એહ. ૪૪

નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ,
બીજો પણ અનુભવ નહીં, તેથિ ન જીવસ્વરૂપ. ૪૫

અથવા દેહજ આતમા, અથવા ઈન્દ્રિય, પ્રાણ,
મિથ્યા જૂદો માનવો, નહિં જૂદું એંધાણ. ૪૬

વળિ જો આત્મા હોય તો, જણાય તે નહિં કેમ?
જણાય જો તે હોય તો, ઘટ પટ આદી જેમ. ૪૭

માટે છે નહિં આતમા, મિથ્યા મોક્ષ ઉપાય,
એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮