પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આગળ જ્ઞાની થઈગયા, વર્તમાનમાં હોય,
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિં કોય. ૧૩૪

સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય,
સદગુરૂ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫

ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત,
પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬

મુખથી જ્ઞાન કથે અને, અંતર છુટ્યો ન મોહ,
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનિનો દ્રોહ. ૧૩૭

દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,
હોય મુમુક્ષુ ઘટવિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮

મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત,
તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. ૧૩૯

સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન,
તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦

સ્થાનક પાંચ વિચારિને, વર્ત્તે જેહ,
પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સંદેહ. ૧૪૧

દેહ છતાં જેની દશા, વર્ત્તે દેહાતીત,
તે જ્ઞાનીનાં ચરણમાં, હો! વંદન અગણિત. ૧૪૨