પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્ત્તા ભોક્તા તેહ નો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨

મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. ૧૨૩

અહો! અહો! શ્રી સદગુરુ, કરૂણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪

શું પ્રભુ ચરણકનેધરૂં, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્ત્તું ચરણાધીન. ૧૨૫

આ દેહાદી આજથી, વર્ત્તો પ્રભુ આધીન,
દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬

ષટ્સ્થાનક સમજાવિને, ભિન્ન બતાવ્યો આપ,
મ્યાન થકી તરવારવત્ એ ઉપકાર અમાપ. ૧૨૭

ઉપસંહાર


દર્શન ષટે શમાય છે, આ ષટ્ સ્થાનક માંહિ,
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮

આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ,
ગુરૂ આજ્ઞાસમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯

જો ઈચ્છો પરમાર્થતો, કરો સત્ય પુરૂષાર્થ,
ભવસ્થિતિ આદી નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦

નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય,
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧

નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ,
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથ રહેલ. ૧૩૨

ગછ મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર,
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩