એજ કારણે અત્યારપર્યત સર્વ કોઈ તેના ગુણગાન કરે છે. ઇ.સ. ૧૬૦૫ માં ૬૩ વર્ષની ઉમ્મરે પ૧ વર્ષ રાજ્ય કરી પોતાના પાટવી કુંવર સલીમ ઉર્ફે જહાંગીરને રાજ્ય સોંપી આ ફાની જગતનો તેણે ત્યાગ કર્યો.
પ્રિય વાંચકો ! મહાગૌરવશાળી મોગલ શહેનશાહ અકબરના
આ ટુંક પરિચય પછી જ્યારે આપણે ભારતમાર્તંડરૂપ બુદ્ધિશાલી
બીરબલના જીવન પ્રત્યે દષ્ટિ કરીશું તો ખેદ સાથે આશ્ચર્ય ઉત્પન્ન
થયા વિના નહીં રહે, કેમકે એ મહાપુરૂષનો જન્મ કયારે અને કયે
સ્થળે થયો તે વિષે હજુ કોઈ ચોક્કસ નિર્ણય કરી શકાયું નથી,
તેમજ જાતિ વિષે પણ એજ ગોટાળો નઝરે પડે છે. અમે કેટલીક
જુદી જુદી દંતકથાઓ નીચે રજુ કરીયે છીયે જે ઉપરથી વાંચકો
પોતેજ યોગ્ય ફેંસલો કરી શકશે.
દંતકથા-(૧) કેટલાક બીરબલને કાન્યકુબ્જ બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે, અને કેટલાક એમને ચોબા જાતિના ગણે છે. ચોબા લોકો એ મહાપુરૂષને પોતાનો સજાતિય કદાચ એટલા માટે ગણતા હોય કે તે ચોબા લોકોની પેઠે મશ્કરીબાજ (મસ્ખરીબાઝ) હતા, તો એ બનવા જોગ છે. અને વળી ચોબા જાતિના પ્રથમ પુરૂષ વિષે જે દંતકથા ચાલે છે તેવી જ એક દંતકથા બીરબલ વિષે પણ ચાલે છે અને તે એકે, બીરબલે પ્રસિદ્ધીમાં આવ્યા પૂર્વે પોતાની કવિતા અને ગાયનથી દેવી દુર્ગાને પ્રસન્ન કરી એટલે તેણે વરદાન આપ્યું કે 'તૂ જે પહેલો વહેપાર કરીશ એથી જ તને ઘણો લાભ થશે' આવું વરદાન મળતાં બીરબલે મીઠાની ગુણો ભરી સાંભર મોકલી એટલે દેવીએ કહ્યું “ત્હેં મ્હારીજ મશ્કરી કરી, માટે તને જે કંઈ