પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ૬૭ મી.
-૦:૦-
અકબરનો પ્રપંચ
-૦:૦-

એક સમયે શાહે બીરબલ પ્રત્યે કહ્યું કે "મારા શાહજાદાને વજીર પુત્રની સાથે સ્નેહ જોડ્યો છે અને પલવાર તે બન્ને અલગ પડવા પામતા નથી, પરંતુ મને એ ફીકર વધારે થાય છે કે વજીર પુત્રનાં લક્ષણો સારાં નથી માટે તેના સહવાસમાં શાહજાદો વિશેષ રહેતો સોબતની અસર લાગ્યા વિના રહેજ નહીં અને તે નઠારી અસરથી છેવટ પ્રજાને પીડાકારક નીવડે માટે શાહજાદાને ખોટું ન લાગે તેમ વજીર પુત્રને પણ ઓછું ન લાગે તેવી કોઇ યુક્તિવડે એ બન્નેના મન જુદા પડી જાય તો વધારે સારૂં, નહીં તો પાછળથી પસ્તાવાનો પાર રહેશે નહીં !' આ પ્રમાણે શાહનાં દીર્ઘદ્રષ્ટિ યોજક અને પ્રજાહિત ચિંતક વાક્યો સાંભળી બીરબલે કહ્યું કે, 'ગરીબ પરવર આપ જરા પણ ચીંતા કરશો નહીં. હું માત્ર આજ સંધ્યા પડ્યા પહેલાંજ એ બન્નેનાં મન વિખુટાં પાડી દેઈશ અને શાહજાદાના મનમાં મારી યુક્તિથી માઠું પણ લાગશે નહીં.' આ પ્રમાણે બીરબલનું વાક્ય સાંભળી શાહને આશ્ચર્ય ઉત્પન્ન થયું અને બીરબલ પ્રત્યે જણાવ્યું કે, 'મારા સાચા સ્નેહી ! ઘણા દીવસનો લાગેલો સ્નેહ કીંચીત વારમાં શી રીતે તોડી શકીશ ? પ્રેમગ્રંથી અતી તીવડ હોય છે ? કારણ કે "જશો બંધન પ્રેમકો, તૈસો બંધન ઔર, કાઠસી બેદે કામળી છેદન નીકરે ભોંર' તેમજ 'દેહકું છેહ દએ ઇતનેપર નેહકું છેહ પ્રબીન ન દેહૈ.' માટે શું એ અમુલ વાક્યોને અસત્ય પાડવાં ધારે છે ? તે સાંભળી બીરબલે પ્રત્યુતરમાં જણાવ્યું કે "નામદાર આપનુ કહેવું સત્ય છે અને પ્રેમ એ અલૌકીક ચીજ છે; કેમકે 'ધન દે કે જીય રખીએ, જીય દે રખીએ લાજ ધન દે જીય દે લાજ હે, એક પ્રીતકે કાજ ! તો પણ કહ્યું છે કે "જલ પય સારવ બિકાય, દેખે હું, પ્રીતકી રીત ભલી, વીલગ હોઇ રસ જાય કપટ ખટાઇ પરત હી. માટે એક એકના મનમાં જુદાઇ લાવવા યત્ન આદરવો જોઇએ, ખુદાવિંદ "ભલી કરત લાગે વિલંબ, વિલંબ બુરે બિચાર, ભુવન ચનાવત દીન લગે પણ ઢાહ ન લગૈ બતાર'. ખોટું કરવું એતો ઘણુંજ સ્‍હેલ છે માત્ર કોકનું સારૂં કરવું અતિ મુસ્કેલ છે." એમ કહી બીરબલ શાહની આજ્ઞા લેઇ જ્યાં શાહજાદો અને વજીરજાદો પ્રેમમુર્તી બની બેઠા હતા ત્યાં ગયો અને વજીરજાદાને બોલાવી કાનમાં છાની વાત કહેતો હોય તેવો ભાવ બનાવ્યો અર્થાત કશું ન બોલતાં કાન સરખું મોઢું લગાડી થોડીવાર પછી ઉતાવળેથી બોલ્યો કે મેં જે વાર્તા કહી તે કોઈને પણ કહેશો નહીં !' એટલું જ બોલી બિરબલ ત્યાંથી રસ્તો પામ્યો, તદંતર શાહજાદો વજીરજાદા પ્રત્યે પુછવા લાગ્યો કે "પ્રીયમીત્ર ! બીરબલ શું ગુપ્ત વાર્તા કર્ણપુટમાં જણાવી ગયો ? આ પ્રમાણે શાહજાદે પુછ્યું.