પિતા — વેદનાઓને પચાવતા. આંસુને એની આંખોએ કદી ઓળખ્યું નથી.
આ વર્ણવું છું, કારણ કે સોરઠી સાહિત્યના મારા સંશોધનકાર્યનું એ ‘સેટિંગ’ છે. પુત્રી મૂઈ ત્યારે પિતાએ એમ નહોતું લખ્યું કે ‘તેં જેને દસ વર્ષની વયથી માવિહોણી દીઠેલી તે ગઈ’ કે ‘ત્રણ નિરાધાર ભાંડુઓને પાંખમાં રાખીને ઉછેરનારી રક્ષનારી એક, વિશાળ રાજગઢમાં પોતાનું જાણે કશુંય નથી તેવી મૂંગી નિરાધારતાને મનમાં ઘૂંટનારી ગઈ.’ કાગળમાં હતું કે ‘તને કાઠી લગ્નગીતો દેનારી હીરીબેન ગઈ.’
લોકસાહિત્યનું પ્રત્યેક સ્મરણ મને એ હડાળાના દરબારગઢમાં,એ પુત્રપુત્રીઓના પિતા દરબારશ્રી વાજસુરવાળાની પાસે લઈ જાય છે. એ અને એમનો ઘનગંભીર ઉદ્ગાર, “well, ઝવેરભાઈ!” : એ અને એમની યૌવન-સંગિની સિતાર : એ અને એમનાં કલાપી-સ્મરણો : એ અને કેકારવની કઈ કૃતિ કયા પ્રસંગે રચાયેલી તેની માહિતી: એ અને શોભનાને પોતે લાઠીના રાજગઢમાં પહેલી પ્રથમ બાનડી રૂપે ક્યારે જોયેલી તે પ્રસંગ: એ અને કલાપીના શોભના સાથેના લગ્નવાળા ભેદક બનાવનો એમને પોતાને ઘેર જે કરુણ પડઘો પડેલો તેનો ચિતાર :–
*
એમના જ શબ્દોમાં કહું છું. “એક દિવસ લાઠીના દરબારગઢમાં ઠાકોર સાહેબ (કલાપી) સાથે જમવા બેઠો હતો. તે વખતે બામાને (કલાપીની પુત્રીને) કેડે તેડીને એક