પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરવા માંડયું હતું. એક બાજુથી વીસ વર્ષ પૂર્વેની ટાંચણપોથીઓ ઉલેચી ઉલેચીને સોરઠી લેકસાહિત્યની શોધનકથા તેઓ આપતા જતા હતા, તેમ બીજી બાજુ ગુજરાતની ભૂમિની પરકમ્મા કરતાં કરતાં તેનાં ટાંચણો પણ તેઓ–વિશેષતઃ તો માનસપોથીમાં જ- ટપકાવ્યે જતા હતા. કોઈક દિવસ વળી એ ટાંચણપોથીમાંથી ગુર્જર લોકસાહિત્યની શોધનકથા પણ બહાર આવત. પણ એમની એ બીજી પરકમ્મા અધૂરી જ રહી. હવે તો, પોતાના છેલ્લા લેખના છેલ્લા વાક્યમાં એમણે જે 'ચાનક' ની વાત કરી છે તે ગુજરાતના જુદા જુદા પ્રદેશના પુત્રોને વહેલેરી ચડશે એવી આશા રાખવાની રહે છે.

'પરકમ્મા'માં મારા પિતાશ્રીએ બે પ્રયાણ પૂરાં કરીને ત્રીજાને આરંભ કર્યો હતો. પણ વિધાતાએ એ ત્રીજા પ્રયાણને જ આખરી પ્રયાણ બનાવી દીધું તેથી આ પુસ્તકનું નામ 'છેલ્લું પ્રયાણુ' રાખ્યું છે.

આ પુસ્તક એમની બીજી માસિક પુણ્યતિથિએ પ્રગટ થાય છે.

૯મી મે, ૧૯૪૭,

મહેન્દ્ર મેઘાણી