પૃષ્ઠ:Dadajini Vato.djvu/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બંગાળી રૂપકથાઓનો સંગ્રહ અને આ પુરાતત્ત્વની મીમાંસા વાંચતાં જ્ઞાન થયું કે બંગાળમાં પણ આ-ની આ જ કથાઓ, કેટલાક પ્રાંતોચિત્ત પ્રસંગાન્તરો સાથે જન્મ પામી છે, અને જનતાની નસોનાં રૂધિરમાં રેડાઇ ગઇ છે. બંગાળી રૂપકથાઓ કંઇક વધુ વિશુદ્ધ, વિપુલ વસ્તુભરી, અને શુધ્ધ સંસ્કારોથી સોહામણી ભાસે છે. 'ફૂલસોદાગર'ની આપણી રૂપ-કથા મને અપૂર્ણ લાગવાથી બંગાળી 'શંખમાલા'ની ઘટનાઓ મેં આંહીં અપનાવી લીધી છે. એટલું જ બસ નથી. આ મીમાંસાકાર તો અંગ્રેજી રૂપકથાઓ ટાંકી ટાંકીને પૂર્વ-પશ્ચિમની આ દૌલતને એક જ સ્થળેથી ઉદ્ભવેલી બતાવે છે. અને એ તો બાહ્ય તેમ જ આંતરિક એવા અનેક જાતના પુરાવાઓનું દોહન કરીને એટલે સુધી સિદ્ધ કરે છે કે બંગાળાની જ આ રૂપકથાઓ, પ્રાચીન કાળમાં પરદેશ ખેડતાં આપણાં જહાજોમાં ચડીને, આપણાં મલમલ કે મશરૂની સાથે જ દેશવિદેશને કિનારે ઊતરી - એટલે કે ખલાસીઓની જીભેથી કહેવાઇને પરદેશીઓને કાને પડી, તેમાંથી એ વાર્તાઓએ ત્યાંના યુરોપી સ્વાંગ સજ્યા ને પછી 'ગ્રિમ બ્રધર્સ ટેઇલ્સ'ને નામે પ્રગટ થઇ યુરોપી રમણીઓ બની પાછી હિન્દમાં આવી!

ઝવેરચંદ મેઘાણી