બહુ મોટી સભા ભરાયેલી. બધા રાજાઓ વચ્ચે હાથણી પર બેસીને રાજકુંવરી આવી પહોંચી. હાથણીની સૂંઢમાં કળશ ભર્યો હતો. રાજાજીએ હાથણીને કહ્યું કે: "હે દેવી! જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ તેને મારી દીકરી પરણાવીશ ને અરધું રાજપાટ આપીશ."
હાથણી આખી સભામાં ફરી વળી. પણ કોઇના ઉપર એનું મન ઠર્યું નહિ. ચાલતી ચાલતી હાથણી મંડપની બહાર ગઇ, ત્યાં એણે કળશ ઢોળ્યો. કોના ઉપર? એક ભિખારી જેવા છોકરા ઉપર. આ છોકરો તે આપણો રાજકુમાર.
બધાય બોલી ઊઠ્યા: "હાથણી ભૂલી. હાથણી ભૂલી. આ ભિખારીની સાથે રાજકુમારી કંઇ પરણે ખરી કે?
બધા કહે કે 'હાથીને બોલાવો'.
હાથી ઉપર ચડીને રાજકુમારી આવી. હાથી પણ આખા મડપમાં ફરીને બહાર ગયો. પેલા રાજકુંવરને ભિખારી માનીને આઘો કાઢી મૂકેલો; હાથી ત્યાં પહોંચ્યો, ને એના ઉપર કળશ ઢોળ્યો.
રાજકુમારી પોતાના બાપને કહે: "બાપુ, મારા નસીબમાં ગમે તે માડ્યું હોય, હું તો એ ભિખારીની સાથે જ પરણવાની. બીજા મારા ભાઇ-બાપ."
પછી બેઉ પરણ્યાં. રાજકુંવર અર્ધા રાજપાટનો ધણી બન્યો છે, અને લીલા લહેર કરે છે.પોતાની બહેનને એણે એ રાજાના ભાઈ વેરે પરણાવી છે.
પણ રાજકુમારના મનમાં સુખ નહોતું. એને એનો દેશ સાંભરતો. પોતાના બુઢ્ઢા બાપુ સાંભરતા. કોઇ કોઇ દિવસ એની આંખમાં પાણી આવતાં. પછી એણે પોતાના સસરાની રજા માગી; કહ્યું કે છ મહિને પાછો આવીશ. રાજાએ દીકરીને તૈયાર કરી બાર ગાઉમાં ગાડાં ચાલે તેટલો કરિયાવર દીધો. હાથીઘોડા