પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાત સખીઓ ઉઠાડે છે. પણ હીરા તો પડખું ફેરવીને કહે છે કે, "ઓહો, હેરાન કરો મા બાપુ, અત્યારમાં ઊઠીને શું કરવું છે?"

સખીઓ કહે: "તમને અત્યાર લાગે છે. પણ જુઓ તો ખરાં, કેટલું ટાણું થઇ ગયું છે?"

હીરા કહે: "કાં, હજી તો અંધારું છે!"

સખીઓને લાગ્યું કે હીરા ઊંઘમાં ને ઊંઘમાં આમ બોલે છે. એટલે એને ઢંઢોળીને કહ્યું: "આમ જુઓ તો, તડકા કેટલા બધા ચડી ગયા છે!"

ત્યાર પછી હીરાના પેટમાં ફાળ પડી. એ તો આંખો ઉઘાડીને જોતી હતી, પણ અજવાળું જ દેખાતું નહોતું. બે હાથે આંખ ચોળી ફરીથી જોયું, તો ય અંધારું ઘોર! હાય,હાય, એ આંધળી બની ગઇ હતી!

રાજાના મહેલમાં તો પોકાર થઇ ગયો. વૈદ્યને બોલાવવા માણસો દોડ્યાં.

વૈદ્ય આવીને જુએ ત્યાં તો આંખો એવી ને એવી જ. ઊલટી વધુ ચકચક થતી હતી. કેમ જાણે આંખો સળગી ઊઠી હોય ને! વૈદ્યે આંખો ઉપર ધીરે ધીરે ફૂંક મારી; પણ હીરાની આંખ જેમ હતી તેમ જ રહી; બિડાઇ ન ગઇ. પછી વૈદ્યે આંખમાં આંગળી નાખી તો યે આંખો હલીચલી નહિ. પછી અંદર છરી ઘોંચી. પણ આંખ ઉપર છરીનો ડાઘ પણ પડ્યો નહિ. આંખોને બદલે હીરાના બે કટકા બની ગયા છે!

આંખો ગઇ, એટલે પહેલાં તો રાજકુંવરીને બહુ વસમું લાગ્યું. પણ સાત સખીઓ કહેવા લાગી કે, "એમાં શું થઇ ગયું? તમે ભાળશો નહિ તો અમે તમારું બધું કામ કરી દેશું. પણ તમારી આંખો કેવી રૂપાળી બની ગઇ છે! એની શી વાત કરવી, બા?" રાજકુંવરી બહુ રાજી થઇ. એને તો રૂપાળા થવું હતું! બીજી કાંઇ વાત નહિ.