પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તરત જ રાજાએ હુકમ દીધો કે, "બીજી પચાસ મણિમોતી- જડેલી સાડીઓ કરાવો." પચાસ સાડીઓ આવી.

તો ય રાણી ખાય નહિ, પીએ નહિ : ડળક ડળક રોયા કરે. રાજાજી કહે: "રાણીજી, ખરેખર તમે કંઈ વાત સંતાડી રાખી છે. સાચું કહો, શું થયું છે?" રાણીએ પરીઓની વાત કહી બતાવી. સાંભળીને રાજાને ફાળ પડી. એણે કહ્યું કે "કુંવરીને મારી નાખીએ." રાણી તો છાતીફાટ રોતી રોતી બોલી: "ના ના, એ બને નહિ." પછી બેય જણાંએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બંધાવીને તેમાં મણિમાળાને રાખવી. રાજમહેલની પાછળ એક મોટું જંગલ હતું. ત્યાં મોટી મોટી દીવાલોવાળો એક કિલ્લો બંધાવ્યો, ને રાજકુંવરીને એમાં રાખી. રોજ સાંજે રાજા-રાણી બે કુંવરને લ‌ઈને કુંવરીને મળી આવે.

એમ કરતાં ઘણાં વરસ વીત્યાં. રાજારાણી મરી ગયાં, એટલે મોટો કુંવર ગાદીએ બેઠો છે. એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું, "બહેન મણિમાળા બિચારી બહુ દુઃખી થાય છે. નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી છે? ચાલો આપણે એને અહીં લ‌ઈ આવીએ." એમ કહીને બન્ને જણા બહેનને તેડવા ચાલ્યા.

મણિમાળાનો આનંદ તો ક્યાંય માય નહિ. એને ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછૂટ્યું. પછી ત્રણેય જણાં વનમાંથી રાજધાની તરફ ચાલી નીકળ્યાં.

રસ્તામાં કેટલાં કેટલાં ફળફૂલનાં ઝાડ ને કેવાં રૂપાળાં પંખી નજરે પડ્યાં! મણિમાળાએ તો એવાં પંખી કોઈ દિવસ જોયેલાં નહિ. જોઈ જોઈને મણિમાળા હસતી જ જાય ને પૂછતી જાય કે 'આ શું?' 'આનું નામ શું?' પોતાની ધોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી છે. એક ઠેકાણે એણે જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો છે. એનાં સુંદર પીછાં સૂરજનાં તેજમાં ચળક ચળક થયા છે. મણિમાળા તો થંભીને ઊભી રહી. પછી બોલી: "ઓહો,