પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
દેશી રાજ્યોનો પ્રશ્ન


૯. હું તો ઘણી વખત જાઉં છું, અને આટલો ચર્ચાયલો હોઈ મને તો કાંઈ કરતા નથી, કદાચ કરશેયે નહિ. પણ મારા નાના ભાઈ તથા પિતાની સ્થિતિ તદ્દન જોખમમાં છે જેમણે તેમના વેપાર બહાર કોઈ દિવસ ધ્યાન પણ આપ્યું નથી.
૧૦. હિજરત કરી જનારાં ૧૦-૧૨ કુટુંબોને વણોદમાં સ્થાવર મિલકત ખૂબ છે. માત્ર મકાનો જ વીસેક હુજાર રૂપિયાનાં ગણાય. જમીનો જુદી. માત્ર મારા કુટુંબને જ પાંચ હજારનાં મકાનો છે. આ બધું માત્ર એક મેં — અંગત જવાબદારીથી — સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો તેને પરિણામે.
૧૧. ૩–૪ કુટુંબોની હાલત તદ્દન કફોડી છે.
કહો. આ સ્થિતિમાં મારે શું કરવું?”

આ કાગળ પ્રગટ કરીને હું એક નવી ઉપાધિ વહોરી લઉં છું, પણ છૂટકો નથી. આ કાગળ જોકે એક જ વ્યક્તિને વિષે છે છતાં તેમાં ઉઠાવેલા મુદ્દા સાર્વજનિક છે અને તેને વિષે મારો અભિપ્રાય માગ્યો છે. એ આપવાનો મારો ધર્મ છે. જો ધીરજ રાખે તો સત્યાગ્રહીની સામે એવો એક પણ અન્યાય નથી જેને સારુ તેની પાસે ઇલાજ ન હોય. આટલું યાદ રાખવાની જરૂર છે કે, સત્યાગ્રહમાં જેની ઉપર અન્યાય થાય છે તેનામાં જો મુદ્દલ શક્તિ ન હોય તો તે શક્તિ વિના અન્યાયની સામે થવાનું સાધન નથી. એ સત્યાગ્રહની મર્યાદા છે. સત્યાગ્રહનું કામ પદાર્થપાઠ આપી દુઃખીને દુઃખમાંથી મુક્તિ મેળવવા તૈયાર કરવાનું છે. જ્યાં સુધી તે તૈયાર ન થાય ત્યાં સુધી સત્યાગ્રહીને ધીરજ રાખવી પડે છે. એમાં જો સત્યાગ્રહની મર્યાદા છે તો તેની ખૂબી પણ છે. એટલે સત્યાગ્રહી કોઈનો વડીલ કે વાલી નથી બનતો. એ દુઃખીની સાથે દુઃખ ભાગવીને તેનો સાથી બને છે, ભાગીદાર બને છે.