પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૮
દેશી રાજ્યોનો પ્રશ્ન


આપણું પ્રજાતંત્ર અત્યારે અંદરઅંદરના ઝઘડાઓથી ગૂંગળાઈ રહ્યું છે. આપસના કજિયા આપણને છિન્નભિન્ન કરી રહ્યા છે. હિંદુ-મુસ્લિમ વચ્ચે, બ્રાહ્મણ-અબ્રાહ્મણ વચ્ચે, મહાસભાવાદી અને મહાસભાવાદી વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આ ટોળાતંત્રમાંથી પ્રજાતંત્ર ઘડવું સહેલું નથી. તેમાં વળી પક્ષાપક્ષીનાં ઝેર ઉમેરીને આપણે વર્તી રહેલી અંધાધૂંધીને વધુ ગાઢ ન બનાવીએ.

વ્યક્તિસ્વાતંત્ર્યની મને કિંમત છે. પણ માણસ મૂળે સામાજિક પ્રાણી છે એ ન ભૂલવું જોઈએ. સામાજિક પ્રગતિની જરૂરિયાતોને વ્યક્તિરૂપે બંધબેસતા થવાનું શીખતાં શીખતાં જ તે આજની સ્થિતિએ પહોંચ્યો છે. નિરંકુશ વ્યક્તિસ્વાતંત્ર્ય એ તો જંગલના પશુનો જીવનનિયમ છે. આપણે વ્યક્તિસ્વાતંત્ર્ય અને સામાજિક અંકુશ વચ્ચે મધ્યમમાર્ગ કાઢતાં શીખ્યા છીએ. સામાજિક અંકુશોનો આખા સમાજના કલ્યાણના હિતની દૃષ્ટિએ સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં જ વ્યક્તિનો તેમ જ સમાજનો અભ્યુદય રહેલો છે.

રાજકોટ, ૨૦-૫-૩૯
હરિજનબંધુ, ૨૮-૫-૧૯૩૯