તેવો માર્ગ પણ ખચીત ખુલ્લો થશે. મારી પોતાની બાબતમાં તો હું હંમેશાં આ સિદ્ધાંતને અનુસરતો આવ્યો છું, એ જાણીતી વાત છે.
આવી વાટાઘાટનો રસ્તો ખોલવા ખાતર આપણો સૂર કંઈક હળવો કરવો પડે એમ બને. આપણું ધ્યેય તો છે તે જ રહેવું જોઈએ; પણ આખા કરતાં ઓછાને સારુ વાટાઘાટ કરવા પણ આપણે તૈયાર રહેવું જોઇએ. અને જ્યાં સુધી એનાં જાતપોતમાં એ વાટાઘાટ આપણા આદર્શ મુજબની જ હોય, અને એના માર્ગમાં વિકાસની શક્યતા હોય, ત્યાં સુધી એમ કરવામાં કશું જ અનુચિત નથી. મેં જોયું કે કદાચ એક ઔંધ રાજ્યના અપવાદ સિવાય ક્યાંયે રાજાઓ પ્રજાની તરફેણમાં બધી સત્તા છોડવા તૈયાર નથી, તેમ ચક્રવર્તી સત્તા પણ દેશી રાજ્યની પ્રજા સંપૂર્ણ જવાબદાર તંત્રને પામે એ દિશાએ જરાયે ઇંતેજાર નથી. જો એક તંત્રને મન જેવું કશું હોઈ શકે એવી કલ્પના કરી શકાતી હોય અને એ તંત્રના મનોભાવનો હું યથાર્થપણે અર્થ કરી શકતો હોઉં, તો હું એટલે સુધી કહું કે કોઈ મહત્ત્વનું રાજ્ય આજે ઔંધના દાખલાનું અનુકરણ કરે તો ચક્રવર્તી સત્તાને દિલગીરી થાય. પણ સૌથી મહત્ત્વની બીના તો એ છે કે દેશી રાજ્યોની પ્રજા પોતે સમુદાયરૂપે ક્યાંયે આઝાદીની કિંમત ચૂકવવા તૈયાર નથી. દેશી રાજ્યોમાં જાગૃતિ આવી છે એની ના નથી, પણ ધ્યેયસિદ્ધિને સારુ તે પૂરતી નથી. આ સ્થિતિ ઓળખવામાં હિત રહેલું છે. ગજા ઉપરવટની ફાળ ભરવા જતાં બધું ખોઈ બેસવાનો સંભવ છે. ગમે તેવા સદ્ભાવવાળી એક અગર વધુ વ્યક્તિના કરતાં કાયદાનું તંત્ર દેશી રાજ્યોમાં સ્થપાય એને