પૃષ્ઠ:Divasvapna.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૨]


ચંપકલાલ કહે: “એ બધું ઠીક છે. પણ એ એને પાલવે. પૈસાની ચિંતા નહિ અને પરિણામની પરવા નહિ. અખતરો નિષ્ફળ થાય તો એને કયાં નાહવા જવું છે!”

વેણીલાલે કહ્યું: “ ભાઈ, અખતરાફખતરા કયાં કરીએ ! એ તો નવરાશ જોઈએ. આવું બધું વિચારવાનો અને તૈયાર કરવાનો વખત કોની પાસે છે ! આપણે તે ટ્યુશન કરવાં, કે ઉપરી સાહેબ પાસે સાંજની હાજરી ભરવી, કે ઘરનાં છોકરાંછૈયાં સાચવવાં, કે નાતજાતમાં રહેવું, કે કરવું શું ! આ તો રહ્યા ફક્કડરામ તે એને પોસાય.”

હું આખરે બેલ્યો: “જુઓ ભાઈઓ, પ્રાથમિક શિક્ષણમાં આથી યે વધારે શક્ય છે. આજનું પ્રાથમિક શિક્ષણ કેવળ બદલાઈ જાય તેટલું બધું શક્ય છે. પણ વાત એમ છે કે એ બદલવા પાછળ માણસ જોઈએ છે. દુનિયાનું અને પૃથ્વીનું આખું પડ પહેલાં હતું તેથી આજે જુદું છે પણ તે માણસોએ ફેરવ્યું છે. માણસમાં ધગશ જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ, અહાર્ય નિષ્ઠા જોઈએ. બાકી અંગ્રેજી ભણવાથી અખતરા વધારે સારા થાય એવું કાંઈ નથી. એ તમારો લૂલો બચાવ છે. તમારે જ્યારે કાંઈ કરવું ન હોય ત્યારે આ બહાનું છે, ખરી વસ્તુ હૈયાઉકલત છે, અને તે તો કોઈ વસ્તુ માટે બળી રહેલા આપણા આત્મામાંથી આવે છે. વળી ચંપકલાલભાઈ, પરિણામની ચિંતા તો અખતરા કરનારને હોય તેટલી બીજા કોઈને ન હોય. તમે તો પગારના વધારા માટે સારું પરિણામ માગો છો; પણ મારે તો સફળતા ન મળે તો બીજો અખતરા કરવાની જગા ન રહે ! વળી મારી નિષ્ફળતા ભાવી અખતરા કરનારાઓની આડે આવે. મારે વેણીભાઈને કહેવું જોઈએ કે ભાઈ, નાતજાતમાં હરવાફરવા અને ફડાકા મારવા ક્યાં ઓછી નવરાશ છે ! વળી ઉપરી સાહેબને ત્યાં ખાસડાં ઘસવાને કોણ કહે છે ! ઉપરીને સાચું કામ આપીશું