પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
દ્વિરેફની વાતો


આ ઊલટ તપાસનો પ્રશ્ન હતો. પણ તેવા ભાવથી પુછાયો નહોતો. એ ચર્ચાનો ભાવ તો ક્યારનો ઊડી ગયો હતો.

“એ અને એનો પતિ મારા જ શહેરમાં ઘણે વરસે આવ્યાં. બન્ને સુખી હતાં. બે વરસ પછી કક્...” ફરી શ્વાસ લઈ પ્રજ્ઞેશે કહ્યું. “હાં! એ વરસ પછી ઉર્વશી માંદી પડી, મેં સાંભળ્યું કે તે મરણ પથારીએ છે. એક વાર થયું કે જઈને એની માફી માગી આવું. પણ શી રીતે જવાય?” પ્રજ્ઞેશે ફરી નિઃશ્વાસ નાંખ્યો.

આશુતોષે પૂછ્યું: “પછી તમે ત્રિવેણીબહેનને એ વાત કહી!”

“હાં ! એ વાત કહેવી ભૂલી ગયો. ઉર્વશીનો સંબંધ તોડી તે સવારે હુ ઘેર આવ્યો ત્યારે ત્રિવેણીએ પૂછ્યું ‘કાં શું થયું ?' તેણે તો માત્ર દિલસોજીથી જ પૂછેલું, પણ કોઈ સ્ત્રીનું મેં એટલી ખરાબ રીતે અપમાન કરેલું તે હું તેને શી રીતે કહી શકું? મેં કહ્યું: ‘એ તો બધું થયું.’”

આશુતોષ : “એ નથી પૂછતો. ઉર્વશી ગુજરી ગયાની વાત તમે કરી?”

પ્રશ્ન તદ્દન નકામો હતો, છતાં પ્રજ્ઞેશે જવાબ આપ્યો “ઉર્વશી ગુજરી ગયા પછી એ વાત હમણાં કરવાનો પ્રસંગ આવ્યો. મારા પડાશીની જુવાન દીકરી એક ખોટા આકર્ષણમાં પડી હતી. તેમાંથી ખસેડવા તેનાં માબાપના કહેવાથી ત્રિવેણી તેને મારી પાસે લઈ આવી. ત્યારે આખી વાત મેં કરી. એ વાત કરવાથી એક સ્ત્રીના અપમાનનું કંઈક પ્રાયશ્ચિત્ત થાય છે એમ મેં માન્યું.”

આશુતોષને જવાબથી સંતેષ નહિ જ થયો હોય. અને વ્યંકટેશને ઘેર ગયા પછી, જે મૂળ મુદ્દા ઉપર આ વાત કહેવાઈ હતી તેનું તે કેટલે અંશે સમર્થન કરે છે તે વિશે અનેક તર્કો થયા હશે, પણ તે વખતે તો અમે એક શબ્દ પણ પૂછી કે ચર્ચી શક્યા નહિ. અમે સર્વ એક દુઃખદ પણ ગહન આશ્ચર્યમાં ડૂબી ગયા હતા !