પ્રમીલા: એટલે ઘર નહોતાં જોયાં એમ કે? ઠીક ગોઠવ્યું ભાઈ !
ધનુભાઈ : જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની દોસ્તી વધતી ગઈ. હવે નિશાળેથી ઊઠવાનો વખત આવ્યો. તે વખત ગામમાં એક ડાહ્યો માણસ આવ્યો, તે જે માગે તેને પૈસા લેઈ ડહાપણ વેચતો. આ બંને ભાઈબંધો તેની ખ્યાતિ સાંભળી તેની પાસે ગયા. અને પૂછ્યું કે અમારા બેની દોસ્તી મરતાં લગી ન તૂટે એવું ડહાપણ આપો. પેલાએ લખી આપ્યું.
જો ચાહે દૃઢ મૈત્રી તો ત્રણ તજ રાખી ખાંત
વિવાદ, ધનની આપલે, પત્ની સાથે એકાંત.
પ્રમીલા : લ્યો પોતે સુભાષિતના શ્લોકનો૧[૧] દોહરો બનાવી મોટું ડહાપણુ વેચ્યું.
ધનુભાઈ : જોયું ! આપણા આખા સાહિત્યમાં ચોરી પકડવા સિવાય બીજી કોઈ વૃત્તિ જ નથી ! કહેવાતી લોકવાર્તામાં કેટલાક દૂહા પંચતંત્રના શ્લોકોનાં ભાષાંતર છે, એમ કહો તો અનેક દાખલાથી બતાવું. મારો દૂહો પ્રાચીન સુભાષિત હોય તો વાર્તામાં વધારે ઉચિત છે. જૂની વાર્તામાં જ એ સંભવિત છે.
ધીરુબહેન : પ્રમીલા બહેન, એમને ક્યાં વાતે વળગાડો છો ! એ તો ભાષણ ચાલશે તો અંત જ નહિ આવે. હવે પીણું તૈયાર થઈ ગયું છે. વાત ટૂંકી કરો.
ધનુભાઈ : આ બંને ભાઈબંધોએ નિશ્ચય કર્યો કે એક બીજાને ઘેર જ ન જવું. વળી ઘેર જઈએ તો સ્ત્રી સાથે કોઈ વાર એકાંતનો પ્રસંગ આવે ને !
- ↑ ૧. यदिच्छेद्विपुलां मैत्रीं त्रीणि तत्र न कारयेत् । वाग्विवादोऽर्थदानं च परोक्षे दारदर्शनम् ॥