લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
દ્વિરેફની વાતો

ધનુભાઈ : એ ખરું. પણ વાર્તામાં દરેક ગૌણ બાબત વિશિષ્ટ રીતે કહેવી જ જોઈએ એવું નથી. કલ્પનાથી કેટલીક કડીઓ પોતે મેળવી લેવી અથવા વાર્તાની ખાતર એ બરાબર છે, એમ માની લેવી જોઈએ. વાર્તાને અમુક ભૂમિકા હોય છે. એ ભૂમિકા ઉપર કવિ વાર્તા રચે છે. તે રચના સુસંગત અને સુસંબદ્ધ જોઈએ, પણ મૂળ ભૂમિકા કાંઈ તથ્યની જ હોવી જોઈએ એમ કહેવાય નહિ. વાર્તાની રચનામાં જેમ રસ વધારે તેમ ભૂમિકાનાં ગાબડાં ઠેકી જવાની કલ્પનાની શક્તિ વધારે. રસહીન વાર્તામાં ગમે તેટલું ટૂંકું અંતર પણ ઠેકવાને નારાજ હોઈએ છીએ. એક ડગલું ભરવાને પણ નારાજ હોઈએ છીએ. પણ આ વાર્તામાં આટલું ઠેકવું પડે તે વધારે પડતું નથી. વાર્તા એટલી રસિક છે કે કલ્પના આટલું ખુશીથી ધારી લે.

મેં કહ્યું : પણ આટલી કડી વાર્તાકાર ન મેળવી શકે એટલી ક્ષતિ તો ખરીને.

ધનુભાઈ : જો કલ્પના આના ખુલાસા સિવાય આગળ ચાલી જ ન શકે તો ક્ષતિ ખરી. પણ મને એવું લાગતું નથી. ઊલટો, હું તો આવી કડી સારી રીતે મેળવી પણ શકું. એટલું જ નહિ મારા હાથમાં વારતા કહેવાનું હોય તો હું તો એ કડી મેળવીને વારતા કહું.

પ્રમીલા : તો મેળવીને કહો ત્યારે.

ધીરુબહેન : હા કહો, પણ એ તમારી સ્વતંત્ર વાર્તા નહિ ગણાય.

ધનુભાઈ : શીતલસિંહ અને ચંદનસિંહ બન્ને નાનપણનાં ગોઠિયા હતા. બન્ને એક જ નિશાળમાં ભણવા જતા. ત્યારથી બંનેને દોસ્તી થઈ. શીતલસિંહ શહેરમાં રહેતો અને ચંદનસિંહ પાસેના નાના ગામમાં રહેતો અને હમેશાં ચાલીને નિશાળે આવતો.