તેની આરામ ખુરશી કરી, કોઈક પ્રમુખના જેવી જગાએ બેઠા છે. બીજા ઘણા મોટી ઉંમરના એ જ રીતે ફાળિયાની આરામ ખુરશી કરી બેઠેલા છે. યુવાનો જુદી જુદી રીતે આડા અવળા બેઠેલા છે. પ્રમુખની સામે, પ્રતિપ્રમુખ હોય તેમ, પાર્વતીશંકર કરીને પચીસેક વરસનો જુવાન બેઠેલો છે. તેણે પોતાની સામે ઊભી, ડંડા જેવી લાકડી જમીન ઉપર સૂતી મૂકી છે. તેણે પંચકેશ રખાવ્યા છે, ને કપાળમાં બહુ જ ભયંકર દેખાય તેવું ટીલું ને આડ કરેલાં છે. તેની આસપાસ છોટાલાલ, મનહરરામ, મુકુટરામ, જયંતીલાલ બેઠેલા છે. અનન્તરાય ત્રિભુવનની એક બાજુ પાર્વતી૦ થી બહુ દૂર નહિ એમ કંઈક તેના સામે મોંએ બેઠેલો છે. હજી પંચમાં કોઈ કોઈ માણસ આવે છે. પડદો ઊપડતી વખતે અંદર અંદર વાતો થયા કરતી હોય છે.
ત્રિભુ૦ : કેમ બધા આવી ગયા ?
ગોર : હવે કોઈ રહ્યું તો લાગતું નથી.
કોઈ વૃદ્ધ : બસ, હવે તો નાત જ ક્યાં રહી છે ? શંકરાચાર્યને પાંત્રીસ વરસ ઉપર સામૈયું કર્યું, ત્યારે આ પડાળીમાં નાત માતી નહોતી.
કોઈ વૃદ્ધ : એટલી લાંબી વાત શીદ કરી છો ? દસ વરસ ઉપર મારી મંછાનાં લગન લીધાં, ત્યારે ઉપર ધારે ઘીએ એકી કલમે સાત મણનું ચૂરમું નાતે ખાધું’તું. અત્યારે પૂરું અઢી મણે ય વરતું નથી.
કોઈ વૃદ્ધ : એ ખાનારા ય ગયા ને એ ખવરાવનારા ય ગયા ! કેમ કેશાકાકા ?
કેશવરામ પચાસેક વરસનો વૃદ્ધ છે. તે પોતાને ઘણો જ ડાહ્યો માને છે અને એમ માની માનીને તેણે પોતાનો અવાજ કૃત્રિમ ધીમો અને મોઢું બહુ જ ડાહ્યું કરી નાંખ્યું છે. તે બોલતાં ભાગ્યે જ કહેવતો વિના બોલે છે.
કેશવ૦ : સાપ ગયા ને લિસોટા રહ્યા.
કોઈ વૃદ્ધ : માણસે ય આપણી નાત બહુ ઘસાઈ ગઈ. જુઓ ને કેટલાં નિર્વંશ ગયાં ?