શેઠે કહ્યું: “તેં કેમ જાણ્યું?”
“સાહેબ, ચોમાસું પાસે આવ્યું. આવી નવ આંધીઓ ચડે એટલે વરસાદ આવે. ઓણ ચોમાસું વહેલું આવશે.”
“પણ હજી બીજી આઠ આંધી ચડશે ત્યારે આવશે ને !”
“સાહેબ, પણ દેડકી અત્યારથી બોલવા લાગી છે, ચોમાસું વહેલું આવશે.”
“વહાલી જેની!” ફૉન્સેકાએ પત્નીને સંબોધીને કહ્યું: “હવે તું મુંબઈ વહેલી જાય તો સારું. વરસાદ આવશે તો અહીંના કાદવમાં મોટર ચાલશે નહિ અને તને મોકલાશે નહિ. તેમ જરૂર પડશે તો ડૉક્ટરને પણ બોલાવી નહિ શકાય.”
“વહાલા, મારો હાથ જોઈને એક જણે કહ્યું છે કે આ વરસ મારે ભારે છે. હું તારાથી જુદી નહિ પડું.”
“આવા હાથ જોનારા કોણ જાણે ક્યાંથી તને મળે છે. તું જાણે છે કે અહીં આપણે એકલાં છીએ. નજીકમાં આપણી કોમનું કોઈ નથી. આસપાસનાં માણસો આપણને બિલકુલ મદદ કરે તેમ નથી. છતાં તું અહીં રહેવાની હઠ કરે છે તે કેટલું બેહૂદું છે?”
“મેં તો તમને ના જ કહી હતી કે આ દેશી લોકોના નિસાસાની જમીન તમે ન લો તેમ છતાં તમે લીધી.” પહેરવેષમાં તેમજ દૃષ્ટિબિંદુમાં, બન્નેમાં, દેેેશી ખ્રિસ્તીઓ પરદેશી થતાં જાય છે.
ફૉન્સેકા જરા ચિડાયો. “રહી રહીને એનું એ જ બોલવાનું? બીજું કશું મળે જ નહિ! શું તને ગામડામાં સુંદર બગીચા ને વિલ્લા કરી રહેવાની ઈચ્છા નહોતી? અને હિંદુ લોકોને અને આપણે શું? કૌંસિલની ચૂંટણીમાં તે લોકોએ પ્રોફેસર ડી. સૂઝાને એક પણ વૉટ આપ્યો?”