( ચારુ૦ બોલવા જાય છે, તેનો હાથ પકડીને) મારી બાએ તેમનું ખૂન કર્યું હતું. એ બધું જે બન્યું હતું તે મારી બાએ કાલે બેશુદ્ધ અવસ્થામાં કર્યું ! તેને સાચે જ લાગ્યું કે એ મારા બાપુ છે. આટલાં વરસ વચમાં વહી ગયાં તેની તેને ખબર જ નથી.
ચારુ૦ : એ તો ગાંડપણમાં કર્યું હશે. તે સાચું મનાય ?
( બન્ને ખુરશીએ બેસે છે. કકડા ટેબલ પર મૂકે છે. )
સુશીલા : અને આ તો હજી હવે મને સમજાય છે. જો બાપુ કંઈક વાંચતા હોય તેવું બાવલું હતું. મારી બા રાત્રે એમ જ બોલી કે પરીક્ષાના પેપરો વાંચે છે. અને જુઓ. બરાબર એ વખતે પરીક્ષા થઈ રહી હતી. એમના મરણને લીધે પરીક્ષક બદલાવવા પડ્યા હતા એમ કેશવલાલ કાકાએ એક વાર કહ્યું હતું.
ચારુ૦ : ત્યારે તું મારા બાપુને જ શા માટે પૂછતી નથી ?
સુશીલા : તું હજી નથી સમજતી ? એ તો જ્યારે આ વાત નીકળે છે ત્યારે કંઈ પણ આડી વાત શરુ કરે છે. બાપુ શાથી મરી ગયા તે વાત નીકળતાં બાપુની વાતમાં અને બાની વાતમાં કેવો ફેર પડતો હતો?
ચારુ૦ : એ ગમે તેમ હોય. કદાચ માનો કે તારી બાને ભોળાનાથ કાકા સાથે અણબનાવ હશે. પણ તને તો સુધી સાથે દ્વેષ નથી. તું તો ઊલટી તેને ચહાય છે. કેમ ખરું કે નહિ ?
સુશીલા : પણ મારી બાને પણ બાપુ ઉપર ઘણી જ માયા હતી. તે તો મેં જોયું. એ માયાને લીધે જ એને બાપુ ઉપર દ્વેષ હતો. એ ભભૂકતાં એણે એવું કર્યું. સાચું કહું ? મારામાં પણ મને એવું દેખાય છે. પણ ચારુબહેન, ( તપતાં તપતાં ) તમે ફરી ફરીને અમને પરણાવવાને માટે જ જાણે