એના કાલાકાલા બોલમાં કવિતા વહે છે. એ દૈવિ કવિતા આ માનવી-દુનિયામાં લાંબો વખત નથી રહેતી એ જ ખેદની વાત છે !
એની વાણીમાં કોઈએ વ્યાકરણના દોષો કાઢવાનું જાણ્યું છે ?
એની સાથે વાત કરવામાં તો મોટાંઓ પણ ખુશીથી વ્યાકરણજ્ઞાનના કડક નિયમોનો પણ ત્યાગ સ્વીકારે છે; અને અવૈયાકરણી ભાષા બોલવા ઘણી વાર તો નિષ્ફળ પ્રયત્ન કરે છે.
વ્યાકરણબદ્ધ વાણી જ્યારથી બાળક બોલે છે ત્યારથી તેની વાણીની મીઠાશ ઘટે છે.
બાળક જેમને વહાલું ન લાગતું હોય તે માત્ર ઈશ્વરના દુશ્મન છે. અભાગિયા જ "આ તો ગંદું બાળક !” કહી તેની સામે જોતા નથી. બાળક તો તેના તરફ પણ લાંબા હાથ કરે છે.
શીદીભાઈને તો શીદકાં વ્હાલાં હોય જ; પ્રભુગામીને પણ શીદકાં વહાલાં હોય. ઘણાઓ બાળકોથી દૂર જ નાસે છે. આપણાથી તેમને પામર કેમ કહેવાય ?
બાળક માતાપિતાનો આત્મા છે.
બાળક ઘરનું ઘરેણું છે.
બાળક આંગણાની શોભા છે.
બાળક કુળનો દીવો છે.
શિક્ષક થવું હોય તો બાળકોને જ અનુસરો. માનસશાસ્ત્રી બનવું હોય તો બાળકને જ વિલોકો.
જીવનશાસ્ત્રના અને માનસશાસ્ત્રના સિદ્ધાંતો બાળક પળેપળ કહી રહ્યું છે. તત્ત્વશાસ્ત્રીઓ પણ બાળકમાં બ્રહ્માંડ ભાળી શકે છે.
બાળક પોતાની ઝીણી આંખોથી આપણી તરફ જુએ છે ત્યારે તે શું જોતું હશે ?