પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એના કાલાકાલા બોલમાં કવિતા વહે છે. એ દૈવિ કવિતા આ માનવી-દુનિયામાં લાંબો વખત નથી રહેતી એ જ ખેદની વાત છે !

એની વાણીમાં કોઈએ વ્યાકરણના દોષો કાઢવાનું જાણ્યું છે ?

એની સાથે વાત કરવામાં તો મોટાંઓ પણ ખુશીથી વ્યાકરણજ્ઞાનના કડક નિયમોનો પણ ત્યાગ સ્વીકારે છે; અને અવૈયાકરણી ભાષા બોલવા ઘણી વાર તો નિષ્ફળ પ્રયત્ન કરે છે.

વ્યાકરણબદ્ધ વાણી જ્યારથી બાળક બોલે છે ત્યારથી તેની વાણીની મીઠાશ ઘટે છે.

બાળક જેમને વહાલું ન લાગતું હોય તે માત્ર ઈશ્વરના દુશ્મન છે. અભાગિયા જ "આ તો ગંદું બાળક !” કહી તેની સામે જોતા નથી. બાળક તો તેના તરફ પણ લાંબા હાથ કરે છે.

શીદીભાઈને તો શીદકાં વ્હાલાં હોય જ; પ્રભુગામીને પણ શીદકાં વહાલાં હોય. ઘણાઓ બાળકોથી દૂર જ નાસે છે. આપણાથી તેમને પામર કેમ કહેવાય ?

બાળક માતાપિતાનો આત્મા છે.

બાળક ઘરનું ઘરેણું છે.

બાળક આંગણાની શોભા છે.

બાળક કુળનો દીવો છે.

શિક્ષક થવું હોય તો બાળકોને જ અનુસરો. માનસશાસ્ત્રી બનવું હોય તો બાળકને જ વિલોકો.

જીવનશાસ્ત્રના અને માનસશાસ્ત્રના સિદ્ધાંતો બાળક પળેપળ કહી રહ્યું છે. તત્ત્વશાસ્ત્રીઓ પણ બાળકમાં બ્રહ્માંડ ભાળી શકે છે.

બાળક પોતાની ઝીણી આંખોથી આપણી તરફ જુએ છે ત્યારે તે શું જોતું હશે ?