આપણાં બાળકોની ખાતર
ગિજુભાઈ બધેકા
આપણે આપણાં બાળકોની ખાતર શું કરીશું ?
આ વળી એક નવો પ્રશ્ન. બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પુછાય છે ?
આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ. આપણે તેને પહેરાવીએ ઓઢાડિએ છીએ. આપણે તેને નિશાળે મોકલી ભણાવીએ છીએ. છતાં શા માટે આવો પ્રશ્ન પૂછવાનું બને છે ?
પણ આ પ્રશ્નને જરા ગંભીરતાથી વિચારીએ.
આપણે તેની ખાતર આટલું તો કરવું જ જોઈએ. તેને કઢંગાં કપડાં ને બેડોળ ઘરેણાંથી ન શણગારીએ; તેને સ્વચ્છ તો રાખીએ જ.
તેને ખરાબ પુસ્તકો અને ખરાબ સહવાસમાંથી બચાવીએ. તેને પ્રાણઘાતક શાળામાંથી ઉઠાડી જ લઈએ. આપણે તેને કદી પણ શિક્ષા ન જ કરીએ.
શું બાળકો ખાતર આપણે આટલું પણ નહિ કરીએ ?
ક્લબમાં જવાનું છોડી દઈને એને બાગમાં ફરવા નહિ લઈ જઈએ ?
મિત્રોને મળવાહળવાનું માંડી વાળી બાળકને સંગ્રહાલયો અને બજાર જોવા નહિ લઈ જઈએ ?