પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪. લંડન ડાયરીમાંથી

[પોતાના સગા અને સહકાર્યકર શ્રી છગનલાલ ગાંધી ૧૯૦૯ની સાલમાં લંડન જવાને નીકળ્યા ત્યારે તેમને રસ પડશે અને વહેવારુ ઉપયોગની નીવડશે એવું વિચારી ગાંધીજીએ પોતાની લંડનની ડાયરી તેમને આપી હતી.

એ રોજનીશીનાં આશરે ૧૨૦ પાનાં હતાં. શ્રી છગનલાલ ગાંધીએ તે ૧૯૨૦ની સાલમાં મહાદેવ દેસાઈને આપેલી. પણ તેમ કરતા પહેલાં તેમણે મૂળમાંનું આશરે ૨૦ પાનાંનું લખાણ એક નોટબુકમાં કાળજીથી બરાબર ઉતારી લીધેલું. બાકીનાં ૧૦૦ પાનાંનું લખાણ એકધારું ચાલુ લખાણ ન હોઈ ૧૮૮૮ની સાલથી ૧૮૯૧ની સાલ સુધીના ગાંધીજીના લંડનના વસવાટ દરમિયાનના બનાવોની માત્ર તવારીખી નેાંધ જેવું હતું.

મૂળ લખાણની ચોપડી આજે કયાં છે તે જડતું નથી. શ્રી છગનલાલની ઉતારી લીધેલી નકલ અહીં આપતી વખતે સંપાદકોએ દેખીતી જોડણીની ભૂલો સુધારી છે, વિરામચિહ્‍નો ઉમેર્યા છે, કયાંક કયાંક કોઈક ખૂટતો શબ્દ મૂક્યો છે અને વાંચવામાં સરળતા રહે તેટલા ખાતર ચાલુ લખાણમાં ફકરાઓ પાડયા છે.

ગાંધીજી ઓગણીસ વરસના હતા ત્યારે આ ડાયરી તેમણે અંગ્રેજીમાં લખેલી અને તેથી તેમનું અંગ્રેજી હજી કેળવાતું જાય છે.]

લંડન,


નવેમ્બર ૧૨, ૧૮૮૮


લંડન જવાની વાત શામાંથી નીકળી? વાતની શરૂઆત એપ્રિલની આખરના અરસામાં થઈ. અભ્યાસ કરવાને માટે લંડન આવવાનો ઇરાદો પાકો થયો તે પહેલાં મારા મનમાં લંડન શું છે ને કેવું છે તે જાણવાને પેદા થયેલું કુતૂહલ સંતોષવાને અહીં આવવાનો છૂપો વિચાર હતો. ભાવનગરમાં હું કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારે જયશંકર બૂચ સાથે વાત થયેલી. તેમાં તેણે મને સલાહ આપેલી કે તું મૂળ સોરઠનો વતની છે એટલે લંડન જવાને સારુ જૂનાગઢ રાજ પાસેથી સ્કૉલરશિપ મેળવવાને અરજી કર. તે દિવસે તેને મેં શો જવાબ આપેલો તે મને પૂરું યાદ નથી. હું માનું છું કે એવી શિષ્યવૃત્તિ મળવાની મને અશક્યતા લાગેલી. તે [વખત]થી મારા મનમાં આ મુલકમાં આવવાનો ઈરાદો પેદા થયેલો.

૧૮૮૮ની સાલના એપ્રિલ માસની ૧૩મી તારીખે રજા ગાળવાને હું ભાવનગરથી રાજકોટ આવ્યો. રજાના પંદર દિવસ પૂરા થયા પછી મારા મોટા ભાઈ અને હું પટવારીને મળવા ગયા. ત્યાંથી પાછા ફરતાં મારા ભાઈએ કહ્યું, "ચાલ, આપણે માવજી જોશીને [૧] મળી આવીએ." એટલે અમે તેમને ત્યાં ગયા. માવજી જોશીએ પહેલાં હમેંશની જેમ મારી તબિયતનું પૂછયું. પછી ભાવનગરમાં ચાલતા, મારા અભ્યાસ બાબતમાં થોડા સવાલ કર્યા. મેં તેમને ચોખ્ખું જણાવ્યું, પહેલે વર્ષે પરીક્ષામાં પાસ થવાશે એવું લાગતું નથી. વધારામાં મેં કહ્યું કે અભ્યાસક્રમ મને બહુ અઘરો લાગે છે. આ સાંભળી તેમણે મારા ભાઈને સલાહ આપી કે બૅરિસ્ટર થવાને માટે બને તેટલું જલદી આને લંડન મોકલી આપો. તેમના કહેવા પ્રમાણે ખર્ચ માત્ર ૫,૦૦૦

  1. ૧. ગાંધી પરિવારના ગેાર, મિત્ર અને સલાહકાર.