પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
ગાંધીજીનો અક્ષરદેહ


અને આ ન્યાય અને દયાના કૃત્ય બદલ તમારા અરજદારો ફરજ સમજીને હંમેશ બંદગી કરતા રહેશે વગેરે વગેરે.

(સહી)અબદુલ કરીમ હાજી આદમ


અને બીજાઓ

[ મૂળ અંગ્રેજી ]

છાપેલી નકલની છબી પરથી.


૮૩. હિંદ જતાં પહેલાંની મુલાકાત
[જૂન ૪, ૧૮૯૬]


[હિંદ જવા રવાના થતાં પહેલાં नाताल एडवर्टाइझरના એક સંવાદદાતાએ ગાંધીજીની મુલાકાત લીધી. એકંદરે સંસ્થાનમાં તે વખતે પ્રચલિત હિંદી મામલાની સ્થિતિ વિષે તે એમના વિચારો જાણવા માગતા હતા. એ અખબારમાં મુલાકાતનો નીચેનો હેવાલ પ્રગટ થયો હતો : ]

ગાંધીજીને પૂછવામાં આવેલા અનેક પ્રશ્નનોના જવાબમાં તેમણે કહ્યું કે કૉંગ્રેસની હાલની સભ્ય સંખ્યા ૩૦૦ જેટલી છે. એનું વાર્ષિક લવાજમ ૩ પાઉંડ છે અને તે આગળથી ભરવાનું હોય છે. કૉંગ્રેસે એવા સભાસદો નેાંધવાનો ઉદ્દેશ રાખ્યો છે કે, જેઓ માત્ર પોતાનું લવાજમ ભરવાને જ શક્તિવાન ન હોય પરંતુ કૉંગ્રેસના ધ્યેય માટે કામ પણ કરતા હોય. અમારે એક મોટું ફંડ એકઠું કરવું છે જેને મિલકત ખરીદવામાં રોકવામાં આવશે જેથી કૉંગ્રેસના ઉદ્દેશો પાર પાડવા માટે એક કાયમની આવક મળી રહે.

સંવાદદાતાએ પૂછયું : “આ ઉદ્દેશ કયા છે?”

ગાંધીજીએ કહ્યું : “એ બે પ્રકારના છે. રાજદ્વારી અને શૈક્ષણિક. શૈક્ષણિક ઉદ્દેશ બાબતમાં અમે સંસ્થાનમાં જન્મેલા હિંદી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપીને, એક કોમ તરીકે તેમના હિત અંગેના બધા વિષયોનો અભ્યાસ કરવા માટે ઉત્તેજન આપીને શિક્ષણ આપવા માગીએ છીએ. આ વિષયોમાં હિંદનો તથા સંસ્થાનોનો ઇતિહાસ, વ્યસનમુક્તિ વગેરે બાબતોનો સમાવેશ થશે.”

“શું કૉંગ્રેસના સભાસદ થવા માટે બીજી કોઈ લાયકાત હોય છે?”

“હા, એક લાયકાત એવી છે કે સભાસદો અંગ્રેજી ભાષા વાંચી, લખી અને બોલી શકતા હોવા જોઈએ, પણ હમણાં હમણાં આ શરતનો અમલ કડકાઈથી કરવામાં નથી આવતો.”

“આર્થિક દૃષ્ટિએ કૉંગ્રેસની સ્થિતિ કેવી છે?”

“એની પાસે ૧૯૪ પાઉડની સિલક હાથ પર છે, અને એ ઉપરાંત ઉમગેની રોડમાં એની માલકીની એક મિલકત છે મારી ગેરહાજરીમાં સભાસદો આ સિલકને ૧૧૦૦ પાઉંડ સુધી પહોંચાડી દે એવું હું ઇચ્છું છું. અને એ પ્રમાણે તેઓ નહીં કરી શકે એનું મને કોઈ કારણ દેખાતું નથી. એથી એ સંસ્થા કાયમી બનવામાં ઘણી મદદ થશે.”

“રાજનૈતિક દૃષ્ટિએ કૉંગ્રેસનું વલણ કેવું છે?”