પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
ઇન્ડિયન કૉંગ્રેસ
“(૨) હિંદ અને હિંદીઓ વિષે છાપાંઓને લખીને, પુસ્તિકાઓ પ્રગટ કરીને, ભાષણો ગોઠવીને માહિતીનો ફેલાવો કરવો.
“(૩) હિંદીઓને, ખાસ કરીને સંસ્થાનમાં જન્મેલા હિંદીઓને હિંદના ઇતિહાસ વિષે શિક્ષણ આપવું, અને હિંદ સંબંધના વિષયોનો અભ્યાસ કરવા પ્રેરણા આપવી.
“(૪) હિંદીઓ જેનાથી કષ્ટ ભોગવતા હોય એવી જુદી જુદી ફરિયાદોની તપાસ કરવી અને તે દૂર કરવા માટે બધી બંધારણીય રીતોનો આશરો લઈને ચળવળ ચલાવવી.
“(પ) ગિરમીટ નીચેના હિંદીઓની હાલત વિષે તપાસ કરવી અને તેમને ખાસ મુસીબતોમાંથી છૂટવા મદદ કરવી.
“(૬) ગરીબો અને કંગાલોને બધા યોગ્ય ઉપાયે મદદ કરવી.
“(૭) અને એકંદરે જેનાથી હિંદીઓ નૈતિક, સામાજિક, બૌદ્ધિક અને રાજદ્વારી દૃષ્ટિએ વધારે સારી પાયરીએ પહોંચે એવાં બધાં કામો કરવાં.”

કૉંગ્રેસનું ખુદ બંધારણ એને ખાનગી ફરિયાદો હાથ પર લેતાં અટકાવે છે, સિવાય કે એવી ફરિયાદોમાં કાંઈક જાહેર મહત્ત્વ હોય.

એમ કહેવું કે “હિંદી કૉંગ્રેસનું અસ્તિત્વ તદ્દન અકસ્માતથી જ શોધી કાઢવામાં આવ્યું હતું” એ વાતનો ભાગ્યે જ જાણીતી હકીકતો સાથે મેળ બેસે છે. હજી તો કૉંગ્રેસની રચના કરવાની શરૂઆત જ થઈ હતી એટલે धि नाताल विटनेस છાપાએ એ હકીકતની જાહેરાત કરી, અને જો હું ભૂલતો નહીં હોઉં તો એ જાહેરાત કરતો ફકરો આપે આ૫ના છાપામાં ઉતાર્યો હતો. એ વાત સાચી છે કે આ પહેલાં એની રીતસરની જાહેરાત થઈ નહોતી. એવું નહોતું કરવામાં આવ્યું એનું કારણ એ હતું કે એના વ્યવસ્થાપકોને એના કાયમી અસ્તિત્વની ખાતરી નહોતી અને હજી પણ નથી. તેમણે એ વાત ડહાપણભરેલી, માની કે માત્ર વખત જ એને જાહેર જનતાના ધ્યાન પર લાવે એ ઠીક હતું. એને છૂપી રાખવાનો કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યો. ઊલટું, એના સંચાલકોએ જે યુરોપિયનો સહાનુભૂતિવાળા ગણાતા હતા તેમને એમાં જોડાવાને અથવા એની પખવાડિક સભાઓમાં હાજરી આપવાને આમંત્રણ પણ આપ્યાં. ખાનગી વાતચીતમાં એ સંસ્થા વિષે ગેરસમજ ઊભી કરવાની શરૂઆત થઈ છે અને હવે એ આપનાથી જાહેર રીતે વગોવાઈ રહી છે (બેશક અજાણતાં) માત્ર એટલા જ ખાતર ઉપરની ચોખવટ જરૂરી માનવામાં આવી છે.

હું છું વગેરે

 

મો. ક. ગાંધી

 

માનદ મંત્રી

 

ધિ નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ

 

તા. ક. આપની માહિતી માટે આ સાથે હું એના નિયમો, એના પહેલા વર્ષના સભ્યોની યાદી અને પ્રથમ વાર્ષિક હેવાલની નકલો મોકલું છું.

મો. ક. ગાં.

 

[ મૂળ અંગ્રેજી ]

धि नाताल एडवर्टाइझर, ૨૫-૯-૧૮૯૫