પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘ભિખારી થાય નહિ તમારા શેરહોલ્ડરો !’

‘એ તો થયા જ છે. પણ ભેગો હું પણ સાવ મુફલિસ થઈ ગયો.’

‘બને જ નહિ. મૅનેજિંગ એજન્ટો આ દેશમાં કદી મુફલિસ થતા સાંભળ્યા છે ? એટલે તો સરકારનો ડોળો મૅનેજિંગ એજન્સી ઉપર છે. સમાજવાદીઓ સત્તા ઉપર આવે તો આપણું તો મોત જ કરી નાખે.’

‘પણ આમાં તો સમાજવાદીઓ સત્તા ઉપર આવ્યા પહેલાં જ મારું મોત કરી નખાયું.’

‘કેવી રીતે ?’

‘મારી જ ગફલતથી બૅરિસ્ટર બુચાજીએ ઓચરિયા-દસ્તાવેજોમાં ક્યાંક ગોસમોટાળો કરી નાખ્યો. એમાં મારું મોત થઈ ગયું.’

‘એ બ્રીફલેસ બૅરિસ્ટરનું મગજ હમણાં ઠેકાણે નથી. ઓડનું ચોડ વેતરી નાખે છે.’

‘એવું જ કર્યું છે. એને ભરોસે હું રહ્યો, એમાં જ આ મોકાણ થઈ પડી. લેણદારોને મારે પાઈએ પાઈ ચૂકવવી પડશે.’

‘તો તો આફત…’

‘પૂરેપૂરી.’

‘કાંઈ ઉપાય કરો.’

‘એ ઉપાય કરવા માટે પણ મારે અહીં આશરો જોઈશે.’

સર ભગનને તો નમાઝ પઢતાં મસીદ કોટે વળગવા જેવું થયું. છતાં પિસ્તોલની ધાકથી પ્રમોદકુમારને પોતાની પુત્રી પરણાવી દેવી પડે એના કરતાં એમને અન્ય બાવાસાધુઓ અને બ્રાહ્મણો જોડે રાવટીમાં આશરો આપવામાં ઓછું નુકસાન હતું. તેથી જ એમણે પ્રકાશશેઠ આવ્યા તો નાખો વખારે, જેવું વલણ અપનાવીને ચા-પાણી મંગાવ્યાં. કહ્યું:

‘મારી તો હજી બેડ ટી પણ બાકી છે.’