શેં વરતી રહી છે?
કોઈ આરોપીની ઊલટતપાસ લેતા હોય એ ઢબે સર ભગને ફેરવીફેરવીને પૂછગાછ કરવા માંડી.
ગુરુચરન કહે છે કે કંદર્પ દરવાજેથી તો નથી પેઠો, તો એ બંગલામાં આવ્યો જ કેમ કરીને ? બીજે ક્યાંય ખેતરના ખોડીબારા જેવું છીંડું કે છટકબારી છે ક્યાંય ? જૂના રાજમહેલો જેવી નાકાબારી છે ક્યાંય ? નહિતર, આંખના પલકારામાં જ એ રસોડામાંથી અલોપ કેમ કરીને થઈ જાય ?
પ્રશ્નોની ઝડી વરસી રહી, છતાં તિલોત્તમા તો શીંગકાજુ, મધ ને શુદ્ધ તાડગોળ પર જ નભનારા નરદમ મૂક સેવકની જેમ મૂંગી જ રહી.
આખરે, માઈક દેખીને ભલભલા મૂક સેવકની વૈખરીને પણ વાચા ફૂટે ને શ્રેતાઓને બુલંદ પડકાર ને જોરદાર હાકલ કરી રહે એમ તિલોત્તમા પણ લાંબા મૌન પછી એકાએક વાચાળ બની ગઈ અને બોલી ઊઠી.
‘પપા, આઈ એમ સોરી—’
‘શું ?’
‘મારી ભૂલ થઈ ગઈ. એ ભૂલ સુધારવા જ મેં આજે કંદર્પને બોલાવેલો.’
‘અને ભૂલ સુધારી ?’
‘હા,’
‘કેવી રીતે ?’
‘મેં એને ચોખ્ખું સંભળાવી દીધું—’
‘શું ?’
‘કે હવે પછી મને તારું મોઢું જ ન બતાવીશ. જા, કાળું ક૨—’
‘સાચું કહે છે ?’