પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ગ્રહાષ્ટક વત્તા એક
 

કરવાનું છે.’

‘તે ફરમાવો ને બાવા, આય સેવક તૈયાર જ છે.’

સર ભગન એટલે ભારતના એક ઔદ્યોગિક શહેનશાહ. ‘ભગન ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ’ને નામે મશહૂર થયેલ એમનાં અસંખ્ય ઔદ્યોગિક સાહસોનો પ્રસાર અને પથારો પણ એક સામ્રાજ્ય જેટલો જ હતો. એમાં કાપડથી કૉલીયરી સુધીનું ને દીવાસળીથી માંડીને દવા-દારૂ સુધીનું બહોળું વૈવિધ્ય હતું. આ ઉદ્યોગપતિ વિશે કહેવાતું કે તેઓ ધૂળમાંથી સોનું બનાવી શકે એવા કાબેલ કીમિયાગર છે. અને સાચે જ સર ભગનના ઔદ્યોગિક સામ્રાજ્યમાં મેંગેનિઝની ખાણોની સાથેસાથ જ ધૂળખાણોનો પણ સમાવેશ થતો હતો અને સાચે જ એ ધૂળમાંથી તેઓ વૉશિંગ સોડાનું સર્જન કરતા હતા.

આવા ધરખમ સામ્રાજ્યનો ત્યાગ કરવાનું કાંઈ સહેલું નહોતું. છતાં જનક વિદેહી જેવી નિઃસ્પૃહતાથી એમણે આ ઔદ્યોગિક સામ્રાજયનું વિસર્જન કરવા માંડ્યું. પોતાનાં સઘળાં હિતો અને હક્કો એમણે તિલોત્તમાને નામે ચડાવવા માંડ્યાં.

જેના પરથી સૂરજ કદી આથમતો જ નહિ એવા વ્યાપક બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જનનો વિચાર કરનાર અંગ્રેજ મુત્સદ્દીઓ જેવી જ મનોદશા અત્યારે સર ભગન ધરાવી રહ્યા હતા. બ્રિટિશરો બીજા વિશ્વયુદ્ધની પછડાટ ખાઈને ખોખરા થઈ ગયા હતા અને સામ્રાજ્ય સાચવી શકવાને અશક્ત બની ગયા હતા, એમ સર ભગન પણ અષ્ટગ્રહીના ગભરાટમાં ઢીલાઢફ થઈ ગયા હતા.

પોતે દેશભરની કેટલી લિમિટેડ કંપનીઓમાં ડિરેક્ટરપદ ધરાવતા હતા એની ચોક્કસ સંખ્યા ખુદ સર ભગનને યાદ રહી શકતી નહોતી. કેટલી કંપનીઓમાં તેઓ અંકુશાત્મક હિસ્સો ધરાવતા હતા એની સંખ્યા પણ એમણે સેક્રેટરીને પૂછવી પડતી.