પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘મેં તો ચિરૂટમાં ક્યારની દીવાસળી ચાંપી દીધી છે.’

‘તે દીવાસળી ચાંપ્યા વિના તો એમાંથી ધુમાડો નીકળે જ શાનો અને ધૂમ્રપાન થાય જ કેમ કરીને ?’

‘અરે મારો ઝાડુ ધૂમ્રપાનને; મેં ચિરૂટમાં દીવાસળી ચાંપી, એટલે એ પીવા માટે નહિ.’

‘ત્યારે ?’

‘ગટરમાં પધરાવવા.’

‘અ૨૨૨૨ ! ગટર ગંધાઈ ઊઠશે.’

‘શાથી ?’

‘તમારી ચિરૂટની ગંધાતી વાસથી. આજ સુધી તમારું મોઢું જ વાસ મારતું હતું.’

‘વાસ ? કેવી વાસ ?’

‘પેલા રામમૂર્તિના સર્કસમાં સિંહના પાંજરામાંથી માથું ફાટી જાય એવી વાસ આવતી, એવી જ તમારા મોઢામાંથી......’

‘છિ: છિ: ! તમને તમાકુની એલર્જી છે એટલે જ આમ બોલો છો, લેડી જકલ.’

‘મને એકલીને જ તમાકુની એલર્જી હશે ? પેલા દામા પારેખને તો મારી પેઠે તો એલર્જી નથી ને ?’

‘તે એનું વળી શું છે ?’

‘એને પણ તમારી દાઢી બોડતાં બોડતાં એટલી જ દુર્ગંધ આવે છે. મહેતર મેલું કાઢતો હોય એમ આડું મોં કરીને અસ્તરો ચલાવતો હોય છે.’

‘કોઈ દહાડો આડું અવળું બોડી નાખશે તો હું જાનથી જઈશ... અસ્તરાનો ઘા તો તલવાર કરતાંય વધારે ઊંડો ઊતરે.’

‘પણ હવે તમારે કેટલા દિવસ દામાના હાથમાં માથું ધરવાનું છે તે ફોગટની ચિંતા કરો છો ?’

‘કેમ ? કેટલા દિવસ એટલે ?’