પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોટું ચણાવવાની આજ્ઞા તેને સ્વામીનારાયણે તેને આપી હતી. તેથી સંવત ૧૮૮૮ની સાલનાં એ મંદિરનો તેણે આરંભ કરાવ્યો અને ચોથાભાગનું કામ થયું ત્યાં તેનો દેહ પડ્યો. તે મૂળીના મંદિરનો મહાંત કહેવાતો હતો. તેની હુંશીઆરીનાં વખાણ હજુ સુધી લોકો કરે છે. કોઈનું મન ગમે તેવું ઉદાસ હોય, પણ તેનું મન ખુશી કરવાની એ કવિમાં શક્તિ હતી. અને તાતકાળી કાવ્ય કરવાની શક્તિ પણ તેનામાં હતી.

કૃષ્ણારામ

એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ સંવત ૧૮૯૫માં હયાત હતો. તેણે રૂકમણી હરણ તથા જુદા જુદા રાગનાં પદ ગરબીઓ વગેરે રચેલાં છે. તેની કવિતા જોતાં તે બીજાં વર્ગમાં ગણવા લાયક છે. તેણે અમદાવાદમાં મંદિર બાંધીને પંથ ચલાવેલો છે. અને તે કૃષ્ણની મૂર્તિને માનતો હતો. પણ ઘણાં વિષયી પદ તેણે રચેલાં નથી. તથા તેવી કવિતા બીજાની કરેલી પણ તેને ગમતી નહીં. તે કવિ દક્ષિણમાં કેટલાંક વર્ષ સુધી રહેલો હોય એવું જણાય છે. રામદાસી કથા રોજ પોતાના મંદિરમાં કરતો હતો. હાલ તેના શિષ્ય નારાયણ મહારાજ નામે છે. તે પણ કૃષ્ણરામ મહારાજની ચાલ પ્રમાણે ભજનકીરતન રોજ કરે છે, અને કૃષ્ણારામનાં જ રચેલાં પદ ગાય છે. કાવ્યદોહનમાં લખવા સારૂં તેની કવિતા થોડી ઘણી મુશ્કેલીથી અમને મળી કારણ કે તેની કવિતા અથવા તેનો ઈતિહાસ છપાવામાં તે લોકો રાજી નથી, એવા વેંહેમી છે. કૃષ્ણારામ મહારાજના કેટલાએક વિચાર વખાણવા લાયક છે. તેની ચાલચલગત પણ સારી હતી. એમના સેવકો અમદાવાદમાં ૫૦૦ ઊપર છે. તેમાં સ્ત્રીઓ વિશેષ છે. સતાર, મૃદંગ, અને મંજીરા વગેરે બજાવીને ઉભા ઉભા અથવા ફરીને કીરતન કરવાનો એનો ચાલ હતો. તેનું ભાષણ મીઠાશ ભરેલું અને ઘણીવાર સુધી ચાલતું હતું. તેને સંસ્કૃતનો પણ થોડો ઘણો અભ્યાસ હતો.


અલખબુલાખી

એ કવિ અમદાવાદનો સાઠોદરો નાગર હતો. તે વેદાંતી હતો. સંવત ૧૯૦૫માં હયાત હતો. તેને ગુલાબ ભારતી નામના ગોસાંઈનો ઉપદેશ લાગ્યો હતો. તે શેહેર બહાર એક જગા બાંધીને રહ્યો હતો. ગાંજો પીતો હતો. તેની કવિતાની ચોપડી એક થોડાંક વર્ષ ઊપર તેના એક સેવકે છપાવેલી છે. પદ, ગરબી, ધોળ વગેરે તેણે રચેલાં છે. તે કવિ ત્રીજા વર્ગમાં ગણવા લાયક છે. તેના શિષ્યો પણ અમદાવાદમાં ૨૦૦ આશરે છે. તેઓ અલખબુલાખીને મોટા પુરૂષનો અવતાર માને છે. સારંગપર તળિયાની પોળમાં રામભટજી નામે છે. તે તેના મુખ્ય સેવક હાલ ગણાય છે. તેને ઘેર અલખબુલાખીની ચાંખડીઓ પૂજાય છે. બીજા સેવક લોકો ધર્મને દહાડે ત્યાં ભેળા થઈને અલખબુલાખીનાં રચેલાં કીરતન ગાય છે. અલખબુલાખીની મરણતિથિનું પદ કાવ્યદોહનના બીજા ભાગમાં