પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રજાનો પહેલો હુકળાટ
79
 

મારી નાખે તો”

“ભાઈઓ!" તેજપાલે કહ્યું, “મને કોણ મારી નાખશે? આવરદાની પ્રભુદીધી દોરી કોણ વાઢી શકશે? કોઈ નહીં. ને જેતલબાએ મને વીર કહ્યો છે. અહીં શાંતિથી ઊભા રહો. હું અબઘડી જ આવું છું.”

એમ કહીને એ સડેડાટ ચાલ્યો. દેવડીની ડોકાબારી ઊઘડી. એકલો ને બિનહથિયારે, તેજપાલ રાજગઢના કોઈ જમાનાજૂના અંધારિયા રાજગઢની અટપટી સીડીની ને અકળ ઊલટસૂલટા ઓરડાની ભુલભુલામણીમાં થઈને મશાલધારીની પાછળ પાછળ ચાલ્યો ગયો, ત્યાં પહોંચ્યો, જ્યાં રાણી તલદેવીનો ખાટલો હતો.

“શેઠ, વીરા” રાણીએ કહ્યું, “તમારો ચોર મને પણ બાવી બનાવીને ગયો છે. હવે ફરી એ આંહીં નહીં આવે; આવે તો હું બે કટકા કરી નાખું. હવે આ સ્વરૂપને સમાવો, ભાઈ!”

“ક્યાં ગયા મામા ?”

“વામનસ્થલી જ તો.”

“રાજને લૂંટી જનાર...”

“સબૂરી રાખો. બધું જ પાછું લાવી વસ્તીને સોંપીશ.”

"કેવી રીતે બા?"

"વામનસ્થલી ઊજડ કરીને. એની વાત આજથી શી કરું? એક વાર ભરોસો મૂકો, રાજપૂતાણી તમારા પગે પાલવ પાથરે છે.”

તેજપાલ અભયદાન દેતો હોય એમ ઊંચો હાથ કરીને પાછો વળ્યો, એણે જઈને મહાજનને અને વસ્તીના લોકોને જાણ કરી. એણે સમજાવ્યું, પ્રજાએ માન્યું, મોડી રાતે લોકસાગરનાં પાણી પાછાં વળ્યાં.