નથી; પણ તને ખબર નથી કે જ્યારે કોઈ બે આત્મા પરસ્પરથી આવા ભિન્ન પ્રકારના હોય ત્યારે, એ બંનેનું જેમાં મેલન થાય એવા તૃતીય આત્મામાં તેમની એકતા સિદ્ધ થાય છે.”
“પરમસ્વરૂપ ! તમારી વાત મારા લક્ષમાં આવે છે.” પોતાના વદન ઉપર, આ વાતના પ્રસંગમાં આગળ જણાઈ હોય તે કરતાં અધિક માનુષ આનંદની છાયાસમેત ગુલાબસિંહ બોલ્યો “અર્થાત્ મને, ( કેમકે આ બાબતમાં મને મારૂં ભવિષ્ય સમજાતું નથી,) જો સામાન્ય મનુષ્યોની પેઠે સંતાન થશે તો —”
“ત્યારે તો છેવટ માણસજ થવા માટે તે માણસ કરતાં અધિક થવાની ઈચ્છા કરી હતી ! !”
“પણ સંતાન ! બીજી રમાજ ! સ્વર્ગમાંથી તાજે તાજાજ કોઈ આત્માનો આવિર્ભાવ ! એને હું પ્રથમથીજ જે વસ્તુ છે તે સમજાવીશ. અનન્ત બ્રહ્માંડમાં ભ્રમણ કરતી મારી પાંખની પાછળ આવતાં શીખવીશ, અને એના દ્વારા એની માતા પોતે પણ યમપુરીની પાર નીકળી જઈ શકે તેમ કરીશ.”
“સાવધાન થા, વિચાર કર ! તું જાણતો નથી ? કે તારો શત્રુ આ સ્થૂલ જગત્માંજ છે ! તારા સંકલ્પો તને ધીમે ધીમે મનુષ્ય વર્ગની પાસે દોરતા જાય છે ?”
“ખેર ! મનુષ્ય જેવું મધુર બીજું શું છે !” ગુલાબસિંહે કહ્યું.
આ પ્રમાણે એ મહાત્મા ઉચર્યો ત્યાં શંકરના મુખ ઉપર જરા સ્મિત છવાઈ ગયું.
પ્રકરણ ૯ મું.
ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલાં પત્રમાંથી ઉતારા.
પત્ર ૧.
“તારા નવા શિષ્યની શી ખબર છે તે તે મને જણાવ્યું નથી; પ્રાચીન સમયના સાત્ત્વિક અને પ્રેમમય પુરુષો કરતાં આ જમાનાના લોક મને જેવા પ્રકારના જસ્થાય છે, તેથી નિરંતર એમ ભય રહ્યાં કરે છે કે તારી બહુ વિચક્ષણ