આવું કહ્યું એટલે બંદો સલામ કરીને બહાર નીકળ્યો. તુરતજ કાજીએ પોતાનાં ખાનગી માણસોને બોલાવી કહ્યું “આ તમારૂં ફરમાન, એને આધારે પેલા બંદાને પકડીને એકદમ કેદ કરો; અને આ બીજા ફરમાનને આધારે આ જયપુરીઆને અને એની કઈ રાખ છે તેને પણ લાવીને કેદખાનામાં દાખલ કરો. એમને કશું કરશો નહિ, કેમકે એમની પાસેથી ઘણી અગત્યની વાતો કઢાવવાની છે, પૃથુરાજની સાથે એમનું જે થવાનું હશે તે થઈ રહેશે.”
માણસ નીચો નમી સલામ કરીને ચાલ્યો ગયો. કાજીએ અલ્લાહ્ની ફરીથી બંદગી કરી પોતાના મનમાં સંતોષ માન્યો કે આ કાવતરું જે મહોટામાં મહોટું છે તે આ પ્રમાણે ભાંગી નાખીશું અને બે ચાર જણને ગરદન મારીશું એટલે પૃથુરાજનો કાંટો કાઢી નાખતાં વાર નથી, અને પછી મારે આ કામમાંથી છૂટા થવામાં પણ બાધ નથી.
પ્રકરણ ૭ મું.
છેલી મુલાકાત.
બંદાએ આ પ્રમાણે પોતાનો સ્વાર્થ સાધવાની નીચ બુદ્ધિએ પ્રેરેલી
યુક્તિ રચી, તે સમયે લાલાજી પણ પોતાના મુરબ્બીના આવાસમાંથી પોતાને
જવાની રજાચીઠી વગેરેની વ્યવસ્થા કરીને બહાર આવ્યો. એના મનમાં જે
સુખસ્પર્શની ભાવના થતી હતી, તેનો પરિપાક થવાનો સંધિ આ પ્રકારે પાસે
આવેલો જોઈ એને જે પ્રસન્નતાનું ભાન થતું હતું તેમાંજ એને કોઈક એવું
કહેતું હોય એમ લાગ્યું કે “શું ! મારાથી છૂટીને બચી જવાનું ઇચ્છે છે !
પુનઃ સાત્ત્વિકજીવન અને સંતોષસુખ ભાગવાની વાંછના કરે છે. એ બધી વાતો
વ્યર્થ છે હવે કશા કામની નથી. ના, ના, હું તને હવે પજવીશ નહિ, કેમકે
મારા કરતાં ક્રૂરતા કે આગ્રહમાં જરા પણ ઉતરે નહિ તેવાં માણસો
તારી પાછળ લાગી ચૂક્યાં છે. હવે તને હું મળનાર નથી, તારો અંત આવવાની
મધ્ય રાત્રીએ કેદખાનામાંજ મળીશું ?–”
લાલાજીએ સહજ રીતે જ, આવો વિચાર થતાં ડોકું ફેરવીને પાછું જોયું તો એક માણસ એની પાસે થઈને જા આવ કરે છે એમ એણે દીઠું; તુરતજ એ સમજી ગયો કે મારી પાછળ આ બાતમીદાર લાગુ કરવામાં આવ્યો છે,