પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

अधिपतिः

તમે સવાલ ઠીક પૂછ્યો છે, પણ જવાબ દેવો એ સહેલી વાત નથી. છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે; બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છે; ને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઇ બતાવવી. તમારા સવાલનો જવાબ આપવામાં આ ત્રણે કામ સાથે આવી જાય છે. લોકલાગણી કેટલેક દરજ્જે બતાવવી પડશે. નહીં હોય તેથી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે, ને ખામી હશે તે વખોડવી પડશે. છતાં તમે સવાલ પૂછ્યો એટલે તેનો જવાબ આપવાની મારી ફરજ છે એમ જણાય છે.

वाचकः

સ્વરાજની લાગણી હિંદમાં ઉત્પન્ન થયેલી તમે જુઓ છો ખરા?