પૃષ્ઠ:Hira ni chamak.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચી અર્ધાંગના : ૨૭
 


વસિષ્ઠ નિત્ય અહીં ધ્યાનમાં બેસશે કે કેમ ?’

બહુલાના આશ્રમે પહોંચતાં પહોંચતાં અરુંધતીને અનેક વિચારો આવવા લાગ્યા. બહુલા અને એના આશ્રમની વિદ્યાર્થિનીઓ સાયં પ્રાર્થના માટે તેની રાહ જોઈને જ બેઠાં હતાં. અરુંધતીને જોતાં બરાબર સહુ પ્રાર્થના માટે ઊભાં થયાં. અને બહુલાએ અરુંધતીને કહ્યું : ‘બહુ વખતસર આવી તું, અરુંધતી ! તેં રચેલી ગાયત્રી પ્રાર્થના તારી પાસે જ સહુને સાંભળવી છે અને શીખવી છે; એક અઠવાડિયું તું આવ્યા કર.’

‘એના કરતાં અરુંધતી આખું અઠવાડિયું અહીં રહે તો કેવું ?’ એક આખાબોલી વિદ્યાર્થિનીએ અધિષ્ઠાત્રી બહુલાને પ્રશ્ન કર્યો. અરુંધતી વિદ્યાર્થિનીઓના વર્ગમાં સર્વત્ર પ્રિય અને માનીતી હતી. અરુંધતીને આ સૂયન ગમ્યું કે નહિ ? અહીં ને અહીં રહે તો રસ્તામાં તપ કરતા વસિષ્ઠનાં ફરી દર્શન શી રીતે થાય ? આવો વિચાર કરતી અરુંધતીને આશ્રમમાં રાખવાની સરળતા બહુલાએ ઉપજાવવા દીધી નહિ. સાવિત્રીનો આખો આશ્રમ અરુંધતીને માથે હતો એમ કહીએ તો ચાલી શકે. અરુંધતીએ પ્રાર્થના ગાઈ સંભળાવી, ને ગાયત્રીનું આહ્‌વાન સંગીતમાં કર્યું. કોણ જાણે કેમ, આજ અરુંધતીના કંઠમાંથી અદ્‌ભુત મીઠાશ વહેતી હતી ! આમે ય અરુંધતીનો કંઠ સુંદર જ હતો. છતાં આજનું સૌંદર્ય અરુંધતીને તેમ જ સહુ કોઈને ચમકાવે એવું સંભળાયું. વીણા વધારે મધુર કે અરુંધતીનો કંઠ ? એ પ્રશ્ન સહુને થઈ પડ્યો.

પ્રાર્થના થઈ ગઈ અને અરુંધતીને પાછા વળવાનો પ્રશ્ન ઊભો થયો. હજી વધારે રાત્રિ ગઈ ન હતી અને વિદ્યાર્થિનીઓને — વિશેષત: નીવડેલી વિદ્યાર્થિનીઓને — જાણી જોઈને રાત્રિએ જવા આવવાના પ્રસંગો ઊભા કરવામાં પણ આવતા હતા, જેથી સ્ત્રીઓ સાથે જોડાયેલી બીક અદૃશ્ય થાય !

પાછાં ફરતાં અરુંધતી વસિષ્ઠના તપમાર્ગે ન જતાં સીધા