પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 


  • આ કૃતિની કથા સતની ધજા ફરકાવતા દુર્ગાદાસ જેવા દેશના એવા પવિત્ર દેવમંદિરની વાત કરે છે જેને સ્વાર્થી, તકબાજો, લોભી, લુચ્ચા, દુઃશીલ લોકો પોતાની પ્રવૃત્તિથી ‘બૂરો દેવળ’ બનાવી રહ્યા છે. જાગ્રત સમાજે એનાથી ચેતવું ઘટે.
  • રાજનીતિમાં કોઈ કોઈનું નથી, સ્વાર્થ જ સર્વસ્વ છે. સિંહાસનની શાન અને આનને ટકાવવા સ્વજનોનાં માથાં વઢાય છે. એવું માનનારા વર્ગની વચ્ચે જયભિખ્ખુએ જયસિંહના પાત્રને જુદું રૂપ આપ્યું છે. એ માને છે કે માણસની માણસાઈનો પણ કંઈક ખ્યાલ કરવો જોઈએ. આત્માના ડંખથી ડરવું જોઈએ. ‘બૂરો દેવળ’ની ભૂમિમાં માત્ર ખરાબ જ આચારવિચાર જન્મે ત્યાં માણસની માણસાઈનો વિચાર કરતા જયસિંહને જોઈને જ બાલુ સુંદરી એને મારવાડની આ મહાભારત કથાનો વૈશંયાપન બનાવી જગત સમક્ષ બૂરાઈનું પરિણામ કેવું બૂરું આવે છે તે વર્ણવી દેશ, દેવ કે સમાજને માટે કુરબાન થવાની જાગૃતિ જન્માવે છે.
  • બાલુ સુંદરીના મુખે જયભિખ્ખુ સાચી રાજનીતિ અને ધર્મનીતિનું સ્વરૂપ સમજાવે છે. લેખકની ઝંખના, આ કૃતિ દ્વારા સમાજમાં પ્રવર્તતો, મત્સ્યગલાગલ ન્યાય દૂર થાય એવી પણ છે.
  • ‘વિક્રમાદિત્ય હેમુ’ કે ‘દિલ્હીશ્વર’ની જેમ આ નવલકથામાં પણ જયભિખ્ખુએ પોતાની આન, બાન અને શાનને માટે ફના થઈ જતા રજપૂતો છેવટે કયા કારણે પોતાની ભૂમિ ખોઈ બેઠા છે એ વર્ણવ્યું છે. લેખક કહે છે કે ‘કીડા જેવા જંતુમાં જે સંપનો ગુણ છે એ પ્રજામાં આવ્યો નહોતો, સહુ પોતપોતાના પ્રાંત દેશને જાળવીને બેઠા હતા. (પૃ. ૧૦૩)’. રાજસિંહ નવલકથામાં એક સ્થળે કહે છે, ‘સિસોદિયા અને રાઠોડ એકત્ર થાય, તો ઝખ મારે છે આવા આઠ આલમગીર.’ (પૃ. ૯૮)
  • આ નવલકથામાં ઔરંગઝેબના પાત્ર દ્વારા જયભિખ્ખુ એ પણ સૂચવે છે કે ઔરંગઝેબે જે સફળતા મેળવી એના મૂળમાં એની સાદાઈ, સંયમ ને જાગરૂકતા રહેલા છે. આ નવલકથા કહે છે કે ‘ફકીર થઈને બાદશાહી સારી રીતે થાય, શોખીન થઈને નહિ.’ (પૃ. ૧૦૧). ‘રાજા તે યોગી, યોગી તે રાજા.’ એ લેખકની પ્રિય જીવનભાવના અહીં પણ ધબકે છે.