પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અપાવે તેવી છે. હું તો એ વાત ભૂલી ગયેલો. પણ મારા શબ્દોએ, નટુભાઈના ચિત્તમાં, એમના કહેવા મુજબ, જયભિખ્ખુનું સાહિત્ય વાંચવાની ચાનક ચડાવી. નવલકથાઓ, વાર્તાઓ, ચરિત્રો, બાળવાર્તાઓ અને નાટ્યાદિ તમામ સાહિત્ય મેળવીને તેમણે જયભિખ્ખુના અક્ષરસ્વરૂપનો ચીવટથી અભ્યાસ કર્યો અને જયભિખ્ખુની સાહિત્યિક શક્તિનો ક્યાસ કાઢી આપતો આ મહાનિબંધ પણ આપ્યો. એ રીતે બે સમાનધર્મી સાહિત્યકારો પરસ્પર નિકટ આવીને ઊભા. પરિણામે જયભિખ્ખુ એક સન્નિષ્ઠ ને સહૃદય ભાવક પામ્યા, તો નટુભાઈએ સિમેન્ટ અને લોહના જંગલની વચ્ચે અપૂજ રહેલા દેવનું અર્ચન-પૂજન કરીને પીએચ.ડી.ની ડીગ્રી મેળવી. કેવો સુભગ સંજોગ !

નટુભાઈ મુખ્યત્વે પત્રકાર છે અને અધ્યાપક પણ છે. તેમની કૉલમોમાં રજૂ થતા કિસ્સાઓ વાચકના ચિત્તને જકડી રાખે તેવા ચોટદાર હોવા ઉપરાંત દરેકમાં કોઈ ને કોઈ પ્રકારે માનવતાની મહેંક હોય છે. પત્રકારી લખાણો મુક્તતાથી લખાતાં હોય છે. તેમાં ઘણુંખરું તારસ્વરે વાત થતી હોય છે. એમ કરતાં નિરૂપણ અતિશયોક્તિમાં ઊતરી પડે અને સત્યનો સમ ઘણીવાર ન સચવાય એવું બનવાનો સંભવ રહેલો છે. પત્રકારને યથાર્થતા, પ્રમાણભૂતતા કે સમતોલતા જાળવવા જેટલો સમય ભાગ્યે જ મળે છે. વહેતા વર્તમાનની ક્ષણની ચકમકને શબ્દ સાથે ઘસીને તણખો ઉત્પન્ન કરવામાં તેનું ઇતિકર્તવ્ય હોય છે. નટુભાઈ પત્રકાર તરીકે આવા તણખાનો ઝગઝગાટ નિપજાવતા રહ્યા છે. પણ આ પુસ્તકથી તેઓ સ્થિર પ્રકાશના પ્રદેશમાં પ્રવેશે છે.

સંશોધન એટલે ચિરકાળ ચાલે તેવા પ્રકાશની શોધ. સાહિત્યક્ષેત્રની વાત કરીએ તો શબ્દના કોડિયામાં સૌંદર્યના સ્નેહમાં બોળેલી સર્જકપ્રતિભાની દીવેટ સત્યની ચિનગારીથી સળગીને સ્થિર પ્રકાશ આપે છે. સંશોધન એટલે એ સત્યની જ્યોતને પામવાનો પ્રયત્ન. નટુભાઈમાં રહેલા અધ્યાપકનો પુરુષાર્થ અહીંથી શરૂ થાય છે.

નટુભાઈની વિશિષ્ટતા એ છે કે તેમણે જયભિખ્ખુના સાહિત્યનો સર્વાગીણ અભ્યાસ કર્યો છે; જયભિખ્ખુએ લખેલો એકેએક શબ્દ વાંચ્યો છે તે આ પુસ્તકમાં સ્થળે સ્થળે મૂકેલાં નાનાંમોટાં દૃષ્ટાંતો દર્શાવે છે. જયભિખ્ખુની