પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


પ્રવેશક એમણે લખી આપ્યો... આભાર એમને ખપશે નહીં, એની મને ખબર છે. મારા સંશોધન અને લેખનકાર્ય દરમ્યાન મારી નાની બહેન ડૉ. પ્રતિભા શાહની દોડધામ ઘણી રહી–સંશોધન અને હૃદયરોગ બન્ને માટે. ઉપયોગી પુસ્તકોના ખડકલા પણ તેણે જ કરી આપ્યા. હસ્તપ્રતને પણ તપાસી લીધી... પત્ની અ. સૌ. નિર્મળા મારી કામગીરીને મૂક ભાવે અવલોકતી રહીને સેવા જ કરતી રહી... એ બંનેને કેમ ભૂલું ?

બિનજરૂરી છતાં એક વાતનો ખુલાસો કરવાનું મન થઈ આવે છે. છેક ઈ. સ. ૧૯૬૩થી પીએચ.ડી. નિમિત્તે સંશોધનકાર્યમાં મારા પ્રયત્નો ચાલતા રહ્યા છે. પચીસ વર્ષના લાંબા સમયગાળાના ચારેક માર્ગદર્શકો સાથે કામ કરતાં કરતાં ત્રણેક વિષયો તો એવી માવજત પામ્યા કે એનાં પુસ્તકો પ્રકાશિત થયાં ને એની એકાધિક આવૃત્તિઓ પણ થઈ ગઈ.... છતાં પેલી પીએચ.ડી.ની પદવી તો વેગળી જ રહી. જોગસંજોગ એવા પડ્યાં કે કામ સરસ અને સંતોષકારક થાય, પણ નિમિત્ત બદલાઈ જાય.... ખેર... પરંતુ પરિણામ તો ઉપર કહ્યાં એમ – સારાં જ – રહ્યાં છે.... અલમ્.

આરંભે થોડીક અંગત વાત.

આ અંગત વાતમાં બીજું ઘણું લખવું છે – લખી શકાય.... હવે પછી આવનારાં પૃષ્ઠોને પણ ઘણું કહેવાનું છે, એનો ખ્યાલ રાખી અટકું છું. પત્રકારી જગતના માણસ તરીકે એક પત્રકારની સાહિત્ય-સેવાઓને, ગજાવાળા એક સર્જકને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાના સંતોષ સાથે તથા વૃત્તિદૃષ્ટિશક્તિના પ્રમાણમાં ઓછું વિવેચન પામેલા એક સર્જકની પ્રતિભા ગુજરાતને ચરણે આ ગ્રંથરૂપે મૂકવાના આનંદ સાથે વિરમું છું.

પ્રવેશક લખી આપવાની મારી વિનંતિને મુ. ડૉ. ધીરુભાઈ ઠાકરે માન્ય રાખીને આ ગ્રંથ વિષે પરિચય કરાવી આપ્યો ને પૂ. શ્રી યશવંતભાઈ શુક્લનાં આશીર્વચન પ્રાપ્ત થયાં – મારા એ બન્ને ગુરુજનોનો હૃદયપૂર્વક ઋણસ્વીકાર કરી કૃતકૃત્ય થાઉં છું.

૧લી મે, ૧૯૯૧, સં. ૨૦૨૪
ગુજરાત રાજ્ય સ્થાપનાદિન
– નટુભાઈ ઠક્કર