હિન્દુ યાત્રિકો ગંગાજીમાં સ્નાન કરવા ઉભરાય છે. એવો એક મેળો સને ૧૮૬૭માં આવ્યો. દયાનંદ સરસ્વતી એ પ્રસંગે, લાખોની મેદની સમક્ષ વેદનો સંદેશ સંભળાવવા, ચાર શિષ્યોની સાથે હરદ્વાર પહોંચ્યા. ત્યાં ગંગાજીને કિનારે એક રાવટી રચીને તેમાં ઉતારો કર્યો; અને ગંગાજીમાં સ્નાન કરી પાવન થવા આવતા રાજાઓ અને મહારાજાઓ, સંન્યાસીઓ અને સાધુઓ, પંડિતો અને સામાન્ય જનસમુદાય પાસે પુરાણના આચારો સામે, ઉઘાડેછોગ, વિરોધ-ભાષણો કરવા માંડ્યાં. હજારો અંધશ્રદ્ધાળુ ધર્મઘેલડા હિન્દુઓનાં ટોળાંમાં તેમની માન્યતાઓ અને તેમના રૂઢિરિવાજો સામે એકલા દયાનંદ અજબ હિંમતથી ગર્જનાઓ કરતા. ખ્રિસ્તિધર્મમાં જ્યારે દેવળ અને પાપને નામે પડેલું પાખંડ અસહ્ય થઈ પડ્યું ત્યારે ઈસુની ચૈાદમી સદીમાં જેમ જર્મનીના બર્લીન શહેરની બજારમાં ઉભા રહીને માર્ટીન લ્યૂથરે બાઇબલના ટુકડા કરી નાંખ્યા અને પોપડમ સામે બળવો જાહેર કર્યો, તેમ આ કુંભમેળામાં દયાનંદે વેદ સિવાયના તમામ ધર્મપુસ્તકોને શાસ્ત્ર તરીકે સ્વીકારવાની ના જાહેર કરી, અને હિન્દુધર્મના અનેક સંપ્રદાયો અને પંથો સામે બળવાનો પોકાર કર્યો.
યુરોપે પ્રથમ લ્યૂથરને સાંભળવાની ના પાડી હતી; તેના પોકારને નાસ્તિકનો પોકાર મનાવી તેને કાન ધરવાની મનાઇ કરી હતી. દયાનંદની પણ પ્રથમ તો એ જ વલે થઇ. દયાનંદનાં પણ એ ડાહ્યાં વચનોને કોઇ સંન્યાસીએ કે કોઇ રાજાએ કાન ન દીધા. દયાનંદનો અવાજ અરણ્યરૂદન સમો બની રહ્યો.
ધર્મમેળાઓ એટલે તો લોકજીવનનો અરિસો: ત્યાં લોકજીવનનું આબેહુબ દર્શન થાય. દયાનંદે કુંભમેળામાં હિન્દુના અધઃપાતનું બરાબર દર્શન કર્યું. એ જોઈને એને પારાવાર ગ્લાનિ થઇ. એણે કુંભમેળામાં યોગનું નામ સરખું યે ન જાણનારા