પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૭ ]

નાડીચક્રના બયાન સાથે દેહના ચક્રનો મેળ ન જ મળ્યો. પુસ્તકને તૂર્ત જ તોડી ફાડી એ શબની સાથે જ પાણીમાં પધરાવી દીધું. બુદ્ધિનો વિજય થઇ ગયો.

૪.

સોળ સોળ વર્ષના રઝળપાટને અંતે છત્રીસમા વર્ષની વયે ગુરૂજ્ઞાનને માટે તલસતા એ દયાનંદને ગુરૂ લાધ્યા. ગુરૂ વિરજાનંદની સેવા એ તો તલવારની ધાર જેવી હતી. અંધ ગુરૂજી દુર્વાસાનો જ અવતાર હતા ! ધમકાવે, ગાળો ભાંડે, મારે અને પીટે. એક દિવસ તો દયાનંદને માત્ર અમુક પાઠ ન આવડવાને કારણે વિરજાનંદજીએ પિત્તો ગુમાવ્યો. ક્રોધાંધ બનીને એમણે દયાનંદને એક લાકડી ઠઠાડી. દયાનંદજીના હાથ ઉપર ફુટ થઇ. લોહી વહેવા લાગ્યું. પરંતુ સત્યનો શોધક એટલેથી કેમ છેડાય ? બે હાથ જોડીને સુકોમળ અવાજે એ બોલ્યા, “મહારાજ ! મારૂં શરીર કઠોર છે. એટલે મને મારતાં તો ઉલટો આપનો સુંવાળા હાથ સમસમી ગયો હશે. મને આપ ન મારો, કેમકે આપને ઈજા થાય છે.”

દંડીજી નામના શિષ્યે ગુરૂજીને એમની નિર્દયતા બદલ ઠપકો દીધો. ભોળા, ઓલીઆ જેવા ગુરૂને પોતાની ભૂલનું ભાન થયું; પસ્તાયા, બોલ્યા કે “ભાઈ, હવે પછી હુ એને નહિ મારૂં.” દયાનંદને આ વાતની જાણ થતાં જ એમણે જઇને દંડીજીને કહ્યું “શા માટે ગુરૂજીને તમે મારે વાસ્તે ઠપકો દીધો ? ગુરૂજી શું કોઈ મને દ્વેષથી મારે છે ? એ તો કુંભાર જેમ માટીને ટીપી ટીપી તેમાંથી સુંદર ઘાટ બનાવે છે તેમ મને પણ મનુષ્ય બનાવવા માટે જ શિક્ષા કરી રહ્યા છે."

એ લાકડીના પ્રહારનો ડાઘ, દયાનંદજીના હાથ ઉપર જીવનભર રહ્યો હતો. અને જ્યારે ત્યારે પોતાની દૃષ્ટિ ત્યાં પડતી ત્યારે ત્યારે પોતાના ગુરૂજીના ઉપકારોની સ્મૃતિઓથી એમનું અંતર ગદ્ગદિત થઇ જતું હતું.