પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ ]
કલાપી
 

 ભલામણ પત્રો અને હથીયાર તથા દારૂગોળા માટેના પરવાના લેવામાં આવ્યા હતા. વળી કાશ્મીરની કાઉન્સીલના પ્રમુખ રાજા અમરસિંહ ઉપર મુંબઈ સરકાર મારફત ભલામણ કરાવવામાં આવી હતી.

આ પ્રમાણે સજ્જ થઈને સૌ પહેલી ઓક્ટોબર ૧૮૯૧ના રોજ નીકળ્યા અને સાંજે અમદાવાદ પહોંચ્યા. બીજે દિવસે કાંકરિયુ તળાવ, શાહઆલમનો રોજો, પાણીની ટાંકી અને એક શેત્રંજી વણવાના કારખાનાની મુલાકાત લીધી, અને ત્રીજી તારીખે જયપૂર માટે ઉપડી ગયા.

અમદાવાદમાં તેમનો ઊતારો હઠીસિંગની વાડીમાં રાખવામાં આવ્યો હતો, અને લાઠીના મેનેજર આશારામના અમદાવાદના ઘેર તેમને નોતરવામાં આવ્યા હતા. શ્રી. મૂળચંદભાઈ જયપૂર સુધી સાથે ગયા હતા અને સૌએ સાથે હાથી ઉપર બેસીને અંબર (જૂનું જયપૂર) જોયું હતું.[૧] તે ઉપરાંત ત્યાંની વેધશાળા, સંગ્રહસ્થાન, કલાશાળા વગેરે સ્થળો પણ જોયાં.

સાતમી તારીખે જયપૂર છોડ્યું અને ચાર કલાકમાં અલ્વર પહોંચ્યા. ત્યાં રાજ્યમહેલનું પુસ્તકાલય અને શસ્ત્રાગાર વગેરે જોયાં અને ૯મી તારીખે અહીંથી નીકળી બીજે દિવસે લાહોર પહોંચ્યા. આ દશેરાનો દિવસ હતો, એટલે લાહોરના લોકો દશેરાનો ઉત્સવ કેવી રીતે ઉજવે છે તે જોવાનું મળ્યું.

૧૨મી તારીખે લાહોર છોડ્યું અને બીજે દિવસે રાવળપીંડી પહોંચ્યા. અહીં આ પ્રવાસીઓને કાશ્મીરના રેસીડેન્ટનો તાર મળ્યો કે વાઈસરોય રરમીએ પસાર થાય ત્યાં સુધી તેમણે રાવલપીંડી અથવા મહી રોકાવું. તે પ્રમાણે ૨૩મીએ રાવલપીંડીથી મુકામ ઉપાડ્યો.


  1. ૧ ઠાકોરશ્રી સૂરસિંહજી; કેટલાંક સ્મરણો ૧૧મા સાહિત્ય સંમેલન નો અહેવાલ.