પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૧૨)

કર્યા પછી તેમાં ગણાવેલી ઉત્તમ કવિતાઓની તથા તેમાં આપેલાં ઉત્તમ ઉદાહરણ રૂપ અવતરણોની તારવણી કરતાં તેમાં લગભગ બધી જ કવિતાઓ સમાઈ જાય છે ! એ બતાવે છે કે વિવેચકોની રુચિ અને કાવ્યગણના કેટકેટલી ભિન્ન છે ! એ દેખાડે છે કે જુદી જુદી કવિતાઓ જુદા જુદા વિવેચકોના મનબંધારણને અનુસરીને જ તેને સ્પર્ષે છે, એટલું જ નહીં પણ પ્રથમ બેઠકે એક કવિતા એક વિવેચકને સામાન્ય પ્રતિની લાગે, તે જ કવિતા વળી કોઈ અન્ય બેઠકે એ જ વિવેચક તે કવિતામાંના ભાવને અનુકૂળ સ્થિતિમાં હોય તો તેના હ્રદયને સ્પર્ષે છે, અને પછી તેમાંનું રહસ્ય તેને જડી આવે છે, કે બીજા કોઈ વિવેચક મિત્ર તે તેને બતાવે ત્યારે તે તેની ખૂબી જોઈ શકે છે. હું તો પ્રત્યેક સંગ્રહમાં સમાજના બધા વર્ગોને કોઈ ને કોઈ કવિતા આનંદ આપી શકે એ વાત ધ્યાનમાં રાખીને બધી જાતની કવિતા, સરળ ભાવ વિચારથી માંડીને ઊંડામાં ઊંડા રહસ્યવાળી દાખલ કરું છું.

આ વેળા આપણાં હાસ્યરસના પ્રસિદ્ધ લેખક તેમજ વિવેચક મારા સ્નેહી ભાઈ શ્રી જ્યોતીંદ્ર હરિહર દવેએ આ સંગ્રહમાંનાં કાવ્યો પર “ટિપ્પણ” લખ્યું છે, તે આશા છે કે પ્રાકૃત વાચકને તેમજ પ્રાધ્યાપકોને ભાવાર્થ સમજવામાં સહાયરૂપ થશે. ભાઈ શ્રી જ્યોતીંદ્રનાં એ માયાળુ બંધુકાર્ય માટે હું આભારી છું.

પરમાત્માએ મારા પર ઘણી મહેર ઉતારેલી છે. એ મહેરથી જ હું મારો કલ્યાણપંથ જોઈ શક્યો છું. આ “કલ્યાણિકા”માંનાં કાવ્યો એ માત્ર કલ્પનાનું પરિણામ નથી, પણ મારા આધ્યાત્મિક અનુભવોનો સાચો નિચોડ છે. પ્રભુએ જે સંદેશ મને પહોંચાડ્યો છે, તે મારી નિર્બળ વાણીમાં ઝીલીને મારાં બહેનો બંધુઓને હું આ ટાણે અર્પણ કરૂં છું. આ “કલ્યાણિકા” તેમના કલ્યાણપંથમાં કાંઈક પણ સહાય રૂપ થાય અને એ માર્ગ આનંદસ્વરૂપ બને, એ જ મારી પ્રાર્થના છે.

૭૮૮, પારસી કોલોની, દાદર, મુંબઈ
તા ૧ લી જુલાઈ ૧૯૪૦
અરદેશર ફરામજી ખબરદાર
}