પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાંચન અને ગેરુ

આનંદ અને જયંત બન્ને ગુરુના પ્રિય શિષ્યો. બીજા શિષ્યોને જે પાઠ શીખતાં મહિનો લાગે તે આનંદ અને જયંત એક દિવસમાં શીખી જતા. આશ્રમમાં આગેવાન પણ આનંદ અને જયંત. વેદ, વેદાન્ત, ષડ્દર્શન પૂરાં કર્યા અને આશ્રમમાંથી પાત્રતા મેળવી વિશ્વના ચોગાનમાં ઊતરવાની ક્ષણે ગુરુએ આનંદ અને જયંત બન્નેને બોલાવી પૂછ્યું : 'કહો વત્સ ! જીવનમાં શું કરશો?'

'ગુરુજી ! દિગ્વિજયની તૃષ્ણા જાગી છે.' આનંદે કહ્યું.

'હું પણ એ જ દિગ્વિજય ચાહું છું, ગુરુજી !' જયંતે કહ્યું.

'તમારું કલ્યાણ થાઓ. દિગ્વિજયની શક્તિ જરૂર તમારામાં છે,' ગુરુએ શિષ્યોની મહત્ત્વાકાંક્ષાને ઉત્તેજન આપતાં કહ્યું.

'માત્ર – અમારી બન્નેની વચ્ચે એક સ્પર્ધા જાગી છે.' આનંદે વચ્ચે ઉમેર્યું.

'શાની સ્પર્ધા ?'

'દિગ્વિજયના; માર્ગની. આનંદને લાગે છે કે એ સઘળું ત્યાગીને દિગ્વિજય મેળવશે. મને લાગે છે કે હું સધળું મેળવીને દિગ્વિજય