પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



અભિમાન હતું. બૌદ્ધધર્મ પ્રત્યે એમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. પતિના મૃત્યુ તથા પૌત્ર રાહુલ અને પુત્ર નંદના સંસારત્યાગથી તેના મનમાં પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. એને વિચાર આવ્યો કે, “શું પુરુષોજ ભિક્ષુ બનીને બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને ધર્મનો પ્રચાર કરે અને અમે સ્ત્રીઓ એવા પુણ્યકાર્યને ન કરી શકીએ ? હું પણ આ સ્વાર્થી સંસારનો ત્યાગ કરીશ, બધી વાસનાઓનો પરિત્યાગ કરીશ, આખી દુનિયાને મારૂં કુટુંબ ગણીશ અને સર્વત્ર વિચરીને લોકોને ઉન્નત માર્ગમાં લઈ જવા પ્રયત્ન કરીશ.” એ વિચારો દૃઢ થયા એટલુંજ નહિ પણ બીજી પાંચસો સ્ત્રીઓના હૃદયમાં તેમણે એ શુભ વિચારો ઠસાવ્યા. બુદ્ધદેવ વૈશાલિમાં બિરાજતા હતા, તે સમયે મહાપ્રજાપતિ મૂંડન કરાવીને ૫૦૦ શાક્ય સ્ત્રીઓ સહિત ત્યાં જઈ પહોંચ્યાં. એ રાજવંશી સન્નારીને પગે ચાલવાનો આ પ્રથમજ પ્રસંગ હતો. એના પગ સૂજી ગયા હતા. એના મુખ ઉપર ખેદ હતો. ખેદ એટલા માટે હતો કે પહેલાં કપિલવસ્તુમાં એમણે બુદ્ધદેવને ભિક્ષુણીસંઘ સ્થાપવાની પ્રાર્થના કરી હતી; પણ એમ કર્યાથી ભિક્ષુઓ અને ભિક્ષુણીઓમાં લડાઈ– ટંટા ઊભા થવાનો ભય લાગવાથી બુદ્ધદેવે એમ કરવાની ના કહી હતી. આ વખતે એ વધારે દૃઢ સંકલ્પથી બુદ્ધદેવની પાસે ગયાં હતાં. એમના શિષ્ય આનંદની મારફતે પોતાનો ઉદ્દેશ જણાવ્યો. આનંદે બુદ્ધદેવને ભલામણ કરીને પૂછ્યું કે, “ભગવન્ ! આપના ધર્મનો સાક્ષાત્કાર સ્ત્રીઓથી પણ થઈ શકે એમ છે કે નહિ ?” બુદ્ધદેવ પહેલાં પણ અનેક વાર સ્ત્રીઓને ધર્મશાસ્ત્ર સમજવામાં અધિકાર છે એવો ઉપદેશ આપી ચૂક્યા હતા, એટલે આ પ્રસંગે પણ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “મારા ધર્મનું રહસ્ય પુરુષો જેટલું સમજી શકે છે તેટલું જ સ્ત્રીઓ પણ સમજી શકે એમ છે.” આનંદને હવે લાગ મળ્યો. એણે કહ્યું: “એવું છે તો આપ મહાપ્રજાપતિ દેવીને શા સારૂ નિરાશ કરો છો ? એમની પ્રાર્થના કેમ સ્વીકારતા નથી ? એમણેજ આપને ઉછેર્યા છે, આપના ઉપર એમને ઘણો સ્નેહ છે. એમના મનના સમાધાનની ખાતર, આપ એવો નિયમ કરો કે સ્ત્રીઓથી પણ પ્રવજ્યા લઈ શકાય છે.”

બુદ્ધદેવે આનંદની ભલામણ માન્ય રાખી અને મહાપ્રજાપતિ તથા તેમની સાથે આવેલી ૫૦૦ શાક્ય કુમારીઓને પ્રવજ્યા આપીને એક નવો ભિક્ષુસંઘ સ્થાપ્યો. ભારતવર્ષમાં