ગૌરવ માને છે, પણ બાળક પુત્રને પણ એજ કઠોર સંન્યાસનો વારસો અપાવતાં તારૂં હૈયું કેમ ચાલે છે ?
રાહુલ પિતાની પાસે ગયો. પિતૃધન–પિતાના વારસાની ઇચ્છા રાખનાર પુત્રને સંન્યાસી પિતાએ સંન્યાસની દીક્ષા આપી.
વળી કેટલાંક વર્ષો વીતી ગયાં. પિતા શુદ્ધોદનના મૃત્યુ સમયે બુદ્ધદેવ પાછા એક વાર કપિલવસ્તુ નગરમાં પધાર્યા. શુદ્ધોદનનું મૃત્યુ થયું. ગોપા અને નગરવાસી બીજી કેટલીક સ્ત્રીઓએ બુદ્ધદેવની પાસે આવીને સંન્યાસધર્મ ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. એમને દીક્ષા આપીને બુદ્ધદેવે ભિક્ષુણી સંપ્રદાય સ્થાપ્યો. ગોપા ભિક્ષુણી સંપ્રદાયની–એ સેવિકાઓની ટોળીની આગેવાન થઈ.
આજ ગોપાનું જીવન સફળ થયું. આજ સ્વામીના ત્યાગમાં ત્યાગી, સ્વામીના ગૌરવથી ગૌરવિણી, સ્વામીના ધર્મકર્મની સંગી, સ્વામીના પુણ્યતેજના મહિમાથી મહિમામયી, જગતના સર્વશ્રેષ્ઠ મહાસાધકની સહધર્મિણી યશોધરા, ફક્ત કહેવાની જ નહિ, પણ ખરેખરી રીતે સ્વામીની સહધર્મિણી અને સહચારિણી બની.
એ ત્યાગી અવસ્થામાં પરિવ્રાજિકા યશોધરાએ પતિ–ગુરુદેવને એક વાર પૂછ્યું:—
“અરહંત તણા ઊંડા, હૃદયે કો સમે પડે;
પૂર્વાવસ્થા તણી છાયા ? ભગવન્ ! પૂછું આદરે.
છાયાએ અર્પતી કાંઈ લાંચ્છનો ઉર શુદ્ધને ?
નિર્વાણ શાંતિમાં એથી પડતો ભંગ કો ક્ષણે ?”
પત્નીનો એ સરળ પ્રશ્ન સાંભળી બુદ્ધદેવે કૌમુદીપટમાં તદ્ગુણતા પામતી એક નૌકાને દૃષ્ટાંતરૂપે બતાવીને કહ્યું;—
(વસંતતિલકા)
“સાધ્વી ? તને કહું હું આજ નિગૂઢ એક,
અજ્ઞાન પામર લહી શકશે ન ભેદ;
નિર્વાણનું અકલ રૂપ ન મંદ જાણે,
શાંતિ જલે લહરિને સ્થિતિ ભંગ માને !
નિર્વાણ સિંધુ જલમાં કદી ના વિકાર;
આભાસ થાય કદી, અન્યજ એ પ્રકા૨.
મારા અગાધ હૃદયે બનિયા બનાવ,
તેમાંથી એક વરણું, સુણ્ય ધારી ભાવ.