પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૩૮ ]


જ૦ - લગભગ પાંચ કરોડ રૂપિયા.......રૂપિયાની સરખામણીમાં ડોલરની કિંમત કેટલી થાય તે હું જાણતો નથી. પ્રજાનાં માણસો પણ આ બેંક સાથે વ્યવહાર રાખતાં. બેંકની રંગુન-શાખામાં ત્રીસ -ચાલીસ લાખ રૂપિયા હતા. બેંક સાથે મારો સંબંધ ૧૯૪૪ના એપ્રિલથી તે બ્રિટિશ લશ્કરી સત્તાવાળાઓએ ૧૯૪૫ના મેની અધવચમાં એનો કબજો લીધો ત્યાં સુધી ચાલુ હતો. એ વખતે બેંક પાસે પાંત્રીસેક લાખ રૂપિયા હતા.

ઝિયાવાડી જાગીરના પચાસેક ચોરસ માઇલના વિસ્તારમાં મુખ્યત્વે હિંદીઓની વસ્તી હતી. એ જાગીર કામચલાઉ સરકારને સોંપી દેવામાં આવેલી. આઝાદ હિંદ સરકારના મહેસૂલી પ્રધાને એ વિસ્તારોના વહીવટ માટે એક વહીવટકર્તા નીમ્યા હતા. રાજ્યની ૧૫,૦૦૦ની વસ્તી હતી અને એમાં ઇસ્પિતાલો ઉપરાંત સૂતર, ધાબળા, અને કોથળા બનાવવાનાં કારખાના હતાં. એ રાજ્યમાં આ૦ હિં૦ ફો૦નું એક મથક હતું તેમજ એક તાલીમ છાવણી પણ હતી. કારખાનાં કામચલાઉ સરકાર તરફથી ચલાવવામાં આવતાં અને તેની તમામ પેદાશનો ઉપયેાગ પણ એ કરતી. નાણાં, સ્વયંસેવકોની ભરતી અને તાલીમ, પ્રચાર અને જાહેર તંદુરસ્તીની વ્યવસ્થા હિંદી સ્વાતંત્ર્ય સંઘની જુદી જુદી શાખાઓ કરતી અને હિંદીઓનાં હિતની સંભાળ રાખતી. સંઘમાં એક નારી-વિભાગ હતો અને એક બાલસેના પણ હતી. ગેરહાજર હિંદીઓની મિલકતની સંભાળ પણ સંઘ રાખતો.

તે પછીના સાક્ષી હવાલદાર શીવસીંઘ આ૦ હિં૦ ફો૦માં લેફટનેન્ટનો દરજજો ધરાવતા હતા. એમણે કહ્યું કે -

“આઝાદ હિંદ ફોજનો હું સભ્ય હતો અને આજે પણ છું. ૧૯૪૨ના ઓગસ્ટમાં હું બરમા આવેલો. ઝિયાવાડી નામનો એક પ્રદેશ છે તે મને ખબર છે. ૧૯૪૩ના ઓગસ્ટથી ૧૯૪૫ના એપ્રિલ સુધી હું ત્યાં રહેલો. ત્યાં મને એક તાલીમ-છાવણી શરૂ કરવા