ફતનદિવાળિયો હતો. એના ગુંજામાં કડકડતી લીલી નોટો ઊભરાતી હતી. રૂપિયા ઉપરાંત છરીચાકાં પણ ખિસ્સામાં જ લઈને ફરતો, વાતવાતમાં સામા માણસને હુલાવી દેવાની હુડબડાઈઓ મારતો. પાંચસાત ગુંડા જેવા સાગરીતોને એ પોતાના અંગરક્ષકો તરીકે સાઇકલ પર જ ફેરવતો.
ગિધાએ વલભની ઓળખાણ કરાવી એટલે દલસુખનો ભાઈબંધ વેરસી બોલ્યો :
‘દલાભાઈ દાળિયામમરા જેવી પાંચપચી નાળિયેરની રમતમાં હાથ નથી બગાડતા. અમારે તો સામો રમનારો અમારા જેવો જાખી જોઈએ.’
વલભે વેરસીનો આ પડકાર ઉપાડી લીધો : ‘બોલો, ઓઝતના ઘૂનામાં નાળિયેર નાખી આવું ?’
‘ઈ તો નાનાં છોકરાંની મોઈદાંડિયા જેવી રમત થઈ. અમે તો અઢીસે, પાનસેંથી ઓછા ઘાની વાત જ નથી સાંભળતા.’ દલસુખે કહ્યું, ‘કરો અવાજ કોઈનામાં પાણી હોય તો—’
વલભે કહ્યું : ‘પોણોસો ઘાએ ગોપેસર મહાદેવની ધજાએ નાળિયેર અડાડી દઉં ?’
‘ગોપેસર તો આંઈથી પગડે ઘા થિયો કહેવાય. એમાં જીતવું શું ને હારવું શું ? ઠાલી મહેનત માથે પડે. મરદનો દીકરો કોઈ હોય તો ગરનારને માથે અંબામાના મંદિરે નાળિયેર પૂગાડવાની વાત કરો !’
દલસુખની આ દરખાસ્ત સાંભળીને સહુ હેબત ખાઈ ગયાં. અહીંથી ગિરનાર છેક ત્રીજી ટૂક ઉપર અંબામાના મંદિર સુધી નાળિયેર પહોંચાડવું ? અરે, કેટલાં ગાડાં નાળિયેરનાં છોતરાં ઊડી જાય ! આવી શરત બકવાનું ગજું કોનું ? દોઢેક દાયકા પહેલાં ઠુમરના દેવશીએ ગામના પાદરમાંથી અડીકડી વાવ સુધીની શરત મારી હતી; અને એમાં એ સફળ પણ થયો હતો. પણ આ તો