પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું પ્રક્ષાલન?
૫૩
 

કરવાને બદલે સહુએ એક જ પ્રશ્ન પૂછ્યો.

‘એલા ખોડા ! મારગના કાંઈ માઠા વાવડ ?’

‘કોના ?’ ખોડાને નવાઈ લાગી.

‘આપણા રઘા મા’રાજને કાંઈ રજાકજા—’

‘રજાકજા થાય નંઈ રઘાબાપાના દુશ્મનને !’

‘તને ક્યાં ય સામા જડ્યા ?’

‘હં... ક...ને !’

‘સાવ સાજા સારા ?’

‘અરે રાતી રાણ્ય જેવા ! ઈને વળી શું દુ:ખ હોય ?’ કહી વળી ખોડાએ એનું વર્ણન કર્યું : ‘ઈ તો એ...ય...ને જુસ્બાના એકામાં સારીપટ પાથરેલા ખડની પથારીએ સુતા સુતા કિલકિલાટ કરતા જાતા’તા—’

‘એલા તને કયે ઠેકાણે રેંકડો સામે જડ્યો’તો ?’

‘જડેસરના વોંકળામાં... હું ખળખળડીમાંથી પાણી પીતો’તો ને જુસ્બાનો એકો ગેડીદડાની ઘોડ્યે દડદડ જતો’તો ને રઘોબાપો નરવે સાદે ભજન ગાતા જાતા’તા...’

મરે રે આ ખોડીયો હેલકારો ! એણે તો રઘા અંગેના આ આંખોદેખા હાલ રજૂ કરીને ગુંદાસરમાં ચગેલા બધા ગબારાઓને એક જ ઝાટકે હેઠા પાડી નાખ્યા.

પણ આવા હેલકારાના અહેવાલથી ય ગામલોકો નિરાશ થયાં નહિ. એમણે આગાહીઓનું અંતર લંબાવ્યું :

‘જડેસરનો વાંકળો તો આપણાં જ રાજની હદમાં ગણાય. રાજની હદમાં રહીને ખૂનખરાબી થોડી થાય ? વોંકળાનો કાંઠો વળોટવા દિયો... તોપું ખોડેલા ખૂંટાની ઓલીપા રેંકડો પોગવા દિયો... ને પછી જુઓ કે રઘાબાપાની કેવી રીગડી થાય છે !’

‘સાચું કીધું. આટલાં વરહ લગણ દરબારને હોકે દેવતા મેલનારો જીવો ખવાહ એટલું ય નો સમજે કે રાજની હદમાં રહીને