લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






[૧]
મારી સાથે કેમ નહિ ?
 


વાત કરતાં ગજાનને કહ્યું : “રમણલાલ ! આ તારાં છોકરાં તારી સાથે ઝટપટ વાતો કરે છે ને પૂછવું હોય તો પૂછે છે; તારી આસપાસ કૂદે છે ને નાચે છે, ને તને આ ખતાવે છે ને તે બતાવે છે. ને મારાં છોકરાં તો એવાં જરા યે નથી નથી મારી સાથે છૂટથી બોલતાં કે નથી કંઈ સવાલો પૂછતાં; નથી તેઓ કહેતાં કે પોતે શું વાંચે છે કે શું લખે છે, ને રમે છે કે ભમે છે. આનું કારણ શું હશે ?”

રમણલાલે કહ્યું: “ખરું કારણ કયું હશે તે એમ પૂરા સહવાસ વિના કેમ કહેવાય ? પણ કંઈ જોઉં છું, જાણું છું તે ઉપરથી કહીશ. મને એમ લાગે છે કે એમાં છોકરાંઓનો વાંક નથી. વાંક કહીએ તો તારો છે. અને એક રીતે એ વાંક પણ અણસમજ કે અણઆવડત છે.”

ગજાનન કહે : “કઈ ? કહે જોઈએ ?”

રમણલાલ : “એ તારી છોકરાંએ સાથે પહેલેથી ન ભળવાની ટેવ. તું જાણે અમલદાર. નોકર, ચાકર વગેરે ય તારાથી દૂર ને દૂર. બીજા નીચેના અમલદારો પણ દૂર ને દૂર. તારો સ્વભાવ પણ અમલદારશાહી. આમ મોઢું ગંભીર રાખીને બેસી રહેવાનો. પણ છોકરાંઓને એવો સ્વભાવ નથી ગમતો; તેઓ એવા માણસથી દૂર ભાગે છે.”